અમદાવાદ: નવરાત્રી શબ્દ સાંભળતાની સાથે જ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. 2-3 મહિના અગાઉથી જ શરૂ કરી દીધેલા ગરબા ક્લાસમાં દરરોજની ગરબા પ્રેકટિસથી માંડીને પાસની ગોઠવણ સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટનો આનંદ માણવા માટે દરેક પડકાર ઝીલી લેવા આતુર હોય છે અને આવો જ ઉત્સાહ જોવા મળે છે અવનવી ફેશનની ચણીયાચોળીની ખરીદીમાં.
![કોરોના અને નવરાત્રી: લો-ગાર્ડનના ચણિયાચોળી બજારમાં ઘરાકી વિના સૂનકાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-chaniyacholi-special-7207084_10092020173440_1009f_02250_993.jpg)
જોકે, આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે કેમ તે અંગે સરકાર હજુ વિચારણા કરી રહી છે. જે રીતે સમગ્ર દેશમાં કોરોનાને લઇને પરિસ્થિતિ વકરી છે તેને જોતા લોકોમાં નવરાત્રી વિશે પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ચણીયાચોળી બજારમાં હાલ ગ્રાહકો વિના સૂનકાર વ્યાપેલો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે વેપારીઓ નવરાત્રીના એક મહિના પહેલા મોટાપાયે ચણીયાચોળીના ઓર્ડર આપી દેતા હોય છે પરંતુ આ વખતે ઘરાકીના અભાવે વેપારીઓએ નવો માલ મગાવવાનું હાલ પૂરતું મુલતવી રાખ્યું છે અને તેઓ નુકસાનની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
![કોરોના અને નવરાત્રી: લો-ગાર્ડનના ચણિયાચોળી બજારમાં ઘરાકી વિના સૂનકાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-chaniyacholi-special-7207084_10092020173440_1009f_02250_373.jpg)
નવરાત્રીનો તહેવાર ફક્ત ચણીયાચોળી જ નહિ, પરંતુ ઓક્સિડાઇઝના ઘરેણા, સાજ શણગારની વસ્તુઓ, વિવિધ ગરબા ઇવેન્ટના આયોજકો, બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓ સહિત અનેક લોકો માટે કમાણીનો અવસર લઇને આવે છે. સ્થાનિક ઉપરાંત બહારથી આવીને અમદાવાદમાં વસવાટ કરતી મહિલાઓને લીધે પણ બજાર ગ્રાહકોથી ઉભરાતુ, પરંતુ આ વખતે સાદાઇથી તહેવારો ઉજવવાના આદેશને પગલે આ વેપારીઓ આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે.
કોરોનાનું આ ગ્રહણ ક્યારે દૂર થશે તે તો સરકારના નિર્ણય બાદ જ ખબર પડશે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગરબાના આયોજનને લઇને મહત્વના સંકેતો આપ્યા છે ત્યારે વેપારીઓ પણ અમુક ગાઈડલાઈન્સ સાથે નવરાત્રી યોજવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.