- ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
- દર્દીઓનો રિકવરી રેટ વધારવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ
- ‘કોવિડ સાથી'ની મદદથી દર્દીને સ્વજનો સાથે ઈ-મુલાકાત કરાવાશે
અમદાવાદઃ ગુજરાત સરકાર અને DRDOના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ભારતીય નૌસેનાના 71 મેડિકલ ઓફિસર અને પેરા-મેડિકલ સ્ટાફ ફરજ પર જોડાતા ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની કાર્યક્ષમતામાં વધારો થયો છે.
હોસ્પિટલમાં મહત્તમ દર્દીઓને સારવાર આપવાની વ્યૂહરચના પર ચર્ચા
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં અંદાજે 500થી વધુ દર્દીઓ ICU અને ઓક્સિજન વોર્ડમાં સારવાર હેઠળ છે અને તબક્કાવાર વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરુરી સંસાધનો અંગેનું સંકલન સઘન બનાવાયું છે. ધન્વંતરિ કોવિડ હોસ્પિટલના સંચાલન-વ્યવસ્થાપન અંગે ગુજરાત સરકાર અને DRDOના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હોસ્પિટલમાં મહત્તમ દર્દીઓને સારવાર આપવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.
દર્દીને પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના નિર્ધારીત પ્રોટોકોલ મુદ્દે પણ ચર્ચા
બેઠકમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીના રિકવરી રેટને કઈ રીતે વધારી શકાય? તે માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની જરુરિયાતવાળા દર્દીઓ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં હોસ્પિટલમાં ક્રમશ: દર્દીઓની સંખ્યા વધારવા જરુરી વ્યવસ્થાપન અંગે પણ વિમર્શ થયો હતો. ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીને પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના નિર્ધારીત પ્રોટોકોલ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
દર્દીઓ પોતાના સંબંધીઓ સાથે વર્ચ્યુઅલ મુલાકાત કરી શકશે
વધુમાં ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ‘કોવિડ-સાથી’ની મદદથી દર્દીઓને તેમના સ્વજનોની સાથે વીડિયો કોલ કરવાની વ્યવસ્થા કરવાની શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. હવે, ટેબ્લેટના માધ્યમથી વીડિયો કોલ કરવામાં આવશે અને દર્દી અને સ્વજન વચ્ચે ઈ-મુલાકાત કરાવાશે.