- પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો ધૂમ પ્રચાર
- સી.આર.પાટીલની વિશાળ રેલી 17 વોર્ડમાંથી પસાર થશે
- 30 જગ્યાએ ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાશે
અમદાવાદ: 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલી અમદાવાદ શહેરમાં યોજાશે. આ રેલી સવારે અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થશે. જેની પૂર્ણાહુતિ અમદાવાદના ખાડિયા ખાતે આવેલા કામનાથ મહાદેવ મંદિર પાસે થશે. રેલી 17 જેટલા વોર્ડમાંથી પસાર થશે. આ ઉપરાંત 30 જેટલી જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.
ભાજપના હજારો કાર્યકરો રેલીમાં જોડાશે
આ વિશાળ રેલીમાં ભાજપના હજારો કાર્યકરો બાઇકો સાથે જોડાશે. રેલીની શરૂઆત પહેલા નરોડા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરશે. આ રેલી કુબેરનગર બજાર, સૈજપુર, હીરાવાડી રોડ, દિનેશ ચેમ્બર, બાપુનગર ચાર રસ્તા, શારદાબેન હોસ્પિટલ, સરસપુર ચાર રસ્તા, અસારવા ચકલા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન અને રાયપુર ચકલા થઈને ખાડિયા પહોંચશે. આમ કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વ વિસ્તારમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરશે.