અમદાવાદ: ભારત સરકારે દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે ચુસ્ત લૉક ડાઉન આપ્યું હતું. જેમાં અમદાવાદ શહેરમાં પણ લૉક ડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું હતું. પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો હતો,જેમાં શાહપુરનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગત તારીખ 8મી મેના રોજ શાહપુરમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોએ નાગોરીવાડમાં લૉક ડાઉન દરમિયાન બહાર બેઠેલાં કેટલાક ઈસમોને ઘરમાં જવાનું જણાવતાં તેઓ ઉશ્કેરાઈ ગયાં હતાં અને તેઓએ બૂમાબૂમ કરી ટોળું ભેગું કરીને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પરંતુ ત્યારબાદ પોલીસે વધુ ફોર્સ મંગાવીને તમામને ઝડપી લીધા હતાં અને તેમની પર કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તેમ જ ડી સ્ટાફના માણસો પણ સાદા ડ્રેસમાં હતાં.આ વાતને મુદ્દો બનાવીને ટ્વીટર પર 'મુસ્લિમ મિરર' નામના ટ્વિટર હેન્ડલરે સાદા ડ્રેસમાં રહેલાં ક્રાઇમ બ્રાન્ચ અને ડી-સ્ટાફના કર્મચારીઓને આર.એસ.એસ અને ભાજપના માણસો ગણાવીને ઉશ્કેરણીજનક પોસ્ટ ટ્વીટર પર મુકી હતી. જે અમદાવાદ સાઇબર સેલના ધ્યાનમાં આવતાં અમદાવાદ સાયબર સેલના સબ ઇન્સ્પેક્ટરે તેની વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં ખોટી અફવાઓ અને કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજીસ વાયરલ થઇ રહ્યાં છે.ત્યારે અમદાવાદ શહેર સાયબર સેલ ખૂબ જ એક્ટિવ રહીને આ કામ કરી રહ્યું છે. જેમાં આવા મેસેજને હટાવવાનું અને આવા દુષ્પ્રચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું કાર્ય અમદાવાદ શહેર સાયબર સેલ પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહ્યુ છે.