- આનંદપ્રિયદાસજીએ સૌને વેક્સિન લેવા માટે પ્રાર્થના કરી
- કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આપણે સૌએ પ્રાર્થના કરવી જોઈએ
- કોરોનાના શમન માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી
- વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે
અમદાવાદ : શુક્રવારે સાંજે સ્વામિનારાયણ મંદિર, મણિનગર, અમદાવાદના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ અને કુમકુમ મંદિરના સર્વ સંતોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સત્સંગીઓએ ભારત દેશની પ્રજાને બે હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે, કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવાનું સર્વ શ્રેષ્ઠ સાધન વેક્સિન છે. તો તે સૌએ અવશ્ય લેવી જોઈએ. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અમે પહેલી વેક્સિન તારીખ 04 માર્ચના રોજ લીધી હતી અને બીજી વેક્સિન અત્યારે લીધી છે. વેક્સિન લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. અમને તો તાવ પણ આવ્યો નથી અને કોઈ જ મુશ્કેલી પડી નથી. તેથી સૌને વિનંતી કરીએ છીએ કે, વેક્સિન અવશ્ય લેશો.
![મહંત આનંદપ્રિયદાસજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-02-kumkum-temple-video-story-7209112_25042021124736_2504f_1619335056_66.png)
આ પણ વાંચો : મહીસાગરમાં એક જ દિવસમાં 5,338 વ્યક્તિઓને અપાઇ કોરોના વેક્સિન
વેક્સિનથી જ કોરોના જલ્દી નાબૂદ થશે
અમેરીકા, UK આદિ દેશોમાં પણ કોરોના વાયરસ વધુ ફેલાયો હતો. પરંતુ હાલ તે દેશોમાં કોરોના વાઈરસ સામે લડવામાં સફળતા પ્રાપ્ત થઈ હોય, તો તેનું મુખ્ય કારણ વેક્સિન જ છે. તેથી આપણા ભારત દેશના નાગરિકો જેટલી મોટી સંખ્યામાં અને જેટલી જલ્દીથી વેક્સિન લઈશું તેટલી જલ્દી આ કોરાનાની ઉપાધિ નાબૂદ થશે.
વૈજ્ઞાનિકો પર વિશ્વાસ રાખો
ભારતના દેશના વૈજ્ઞાનિકોએ મહેનત કરીને વેક્સિન બનાવી છે. તે સંપૂર્ણ સફળ થઈ છે. તો તેના ઉપર વિશ્વાસ રાખીને વેક્સિન લેવી જોઈએ. આપણે હજામત કરાવવા માટે જઈએ છીએ, ત્યારે તે માણસ ઉપર પણ વિશ્વાસ રાખીએ છીએ કે મારું ગળું નહી કાપી નાંખે ને ? તો દેશના વૈજ્ઞાનિકો ઉપર આપણે કેમ વિશ્વાસ ન રાખીએ ? અવશ્ય વિશ્વાસ રાખવો જ જોઈએ.
આ પણ વાંચો : દેશમાં કોરોના રસીના કુલ 3.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં
525 કલાકની સ્વામિનારાયણ ભગવાનની ધૂન
પ્રાર્થના કરીએ છીએ કે, સ્વામિનારાયણ ભગવાન કોરોના વાઈરસની ઉપાધિનું શમન કરે અને સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે અને દેશ માટે ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, પોલીસ કર્મચારીઓ આદિ જે વોરીર્યસ છે. તેમની ઉપર ભગવાન વધુ પ્રસન્ન થાય કારણ કે, તેઓ દેશની મોટી સેવા કરી રહ્યાં છે અને તેમની રક્ષા પણ કરે. તે માટે 525 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પણ કરવામાં આવી છે.