નવી દિલ્હી: સરકારે 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને જાહેર ભવિષ્ય નિધિ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં 1.4 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક જમા દરમાં ઘટાડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
નાણાંપ્રધાને કહ્યું હતું કે "નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં સુધારો કરવામાં આવ્યો છે."
આ કપાત બાદ, એક થી ત્રણ વર્ષની જમા રકમ પર વ્યાજ 5.5 ટકા રહેશે, જે અત્યાર સુધીમાં 6.9 ટકા હતું. એટલે કે, વ્યાજમાં 1.4 ટકાનો ઘટાડો થયો છે.
પીપીએફ અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) પરના વ્યાજ દરમાં અનુક્રમે 0.8 અને 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ કપાત બાદ, 2020-21 ના પહેલા ક્વાર્ટરમાં પીપીએફ પરનું વ્યાજ 7.1 ટકા રહેશે જ્યારે એનએસસી પર તે 6.8 ટકા રહેશે.