નવી દિલ્હી: આજે 2000ની નોટ બદલવાનો છેલ્લો દિવસ છે. આરબીઆઈએ બેંકોમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ આરબીઆઈએ નોટો બદલવા અને તેને ખાતામાં જમા કરવાની તારીખ વધારીને 7 ઓક્ટોબર કરી હતી. આવતીકાલથી RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આને બદલવાની સુવિધા હશે. જે લોકો જઈ શકતા નથી તેઓ પોસ્ટ દ્વારા નોટ બદલી શકશે.
87 ટકા નોટો પરત આવી: આરબીઆઈએ કહ્યું કે, 96 ટકા એટલે કે 3.43 લાખ કરોડના મૂલ્યની 2,000ની નોટો બેન્કોમાં પાછી આવી છે. તેમાંથી 87 ટકા નોટો જમા કરવામાં આવી છે, જ્યારે 13 ટકા નાની કિંમતની નોટો સાથે એક્સચેન્જ કરવામાં આવી છે. જોકે, 3.37 ટકા એટલે કે 12,000 કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે.
આવતીકાલથી કયા વપરાશમાં રહેશે: RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 ઈસ્યુ ઑફિસમાંથી કોઈપણમાં 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.
19 મેના રોજ કરી હતી જાહેરાત: ઉલ્લેખનીય છે કે આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોએ બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી અને પરત પણ કરાવી હતી. જોકે શરૂઆતના દિવસો સિવાય આ સમયગાળા દરમિયાન બેંકોમાં વધુ ભીડ જોવા મળી ન હતી.