નવી દિલ્હી: JEE-NEETની પરીક્ષાએ હવે પૂર્ણ રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. કેન્દ્ર સરકાર પરીક્ષા યોજવા અંગે મક્કમ છે. જ્યારે વિરોધી પક્ષો સતત તેની વિરુદ્ધ છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે બપોરે 2 વાગ્યે દેશના તમામ વિપક્ષી મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી હતી.
પરીક્ષાની વિરુદ્ધમાં છે આમ આદમી પાર્ટી
પરંતુ નોંધનીય બાબત એ છે કે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આ બેઠકમાં આમંત્રણ અપવામાં આવ્યું નથી. જ્યારે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર NEET-JEE પરીક્ષાની વિરુદ્ધ સતત પોતાનો અવાજ ઉઠાવી રહી છે અને કેન્દ્રને પરીક્ષા ન લેવા અપીલ કરી રહી છે.
બેઠક વિશે ખબર હતી નહી
જ્યારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાને આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, તેમને આ બેઠક અંગે કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે, મનીષ સિસોદિયા પણ સતત પરીક્ષા ન લેવાની વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે પણ આ મુદ્દે શિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો હતો.