વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ મુંબઈમાં અનેક મેટ્રો પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું હતું. આ અગાઉ તેમણે અહીં ગણેશજીની પૂજા અર્ચના પણ કરી હતી. મુંબઈ પહોંચ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ અહીં કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશમાં આર્થિક હાલતની ધ્યાને રાખી અમે 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવી રહ્યા છીએ. અમે આપણા શહેરોને પણ 21મી સદીને ધ્યાને રાખી વિકસીત કરી રહ્યા છીએ. આ વિચાર સાથે અમે હવે આગળના પાંચ વર્ષમાં આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચરમાં 100 લાખ કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. આ 100 દિવસમાં દેશમાં એવા અભૂતપૂર્વ કામ થયા છે, જે ઐતિહાસિક છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના વખાણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ માટે અનેક પ્રયાસો કર્યા છે. ઘણી મહેનત કરી છે.
વડાપ્રધાન મોદીએ મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટની આધારશિલા રાખ્યા બાદ લોકોને સંબોધન કરી ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ત્યાં બિરદાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ચૂંટણી સમયે કરેલા પ્રવાસ અને રેલીઓને પણ અહીં યાદ કરી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.