પટના: CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારે પટનામાં CAA, NPR અને NRCના વિરોધમાં રેલી યોજી હતી. આ દરમિયાન કનૈયા કુમારે પોતાના ભાષણ બાદ અધૂરૂં રાષ્ટ્રગીત ગાયું હતું. જેના લીધે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલી 'સંવિધાન બચાઓ, નાગરિકતા બચાઓ' રેલીની શરુઆતમાં દિલ્હીના તોફાનોમાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.
જે બાદ રેલીને સંબોધન કરતાં કનૈયા કુમારે ભારતીય જનતા પાર્ટી પર હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવાનો આરોપ લગાવ્યો અને લોકોને 'રામ પ્રસાદ બિસ્મિલ અને અશ્ફાકુલ્લા ખાનની મિત્રતા'નું અનુકરણ કરીને તેમના એજન્ડાને હરાવવા જણાવ્યું હતું.
બિહાર વિધાનસભામાં NPR અને NRC વિરુદ્ધ સર્વાનુમતે પસાર કરાયેલા ઠરાવ અંગે પણ કનૈયા કુમારે નારાજગી વ્યક્ત કરી હતી. કનૈયા કુમારે CAAને કાળો કાયદો ગણાવ્યો હતો.