નવી દિલ્હી: ભીષણ ગરમીથીજલ્દી જ રાહત મળવાની છે. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે ચોમાસું 1 જૂને કેરળના સમુદ્ર કિનારે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "31 મેથી 4 જૂન દરમિયાન દક્ષિણ પૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઓછુ દબાણવાળું ક્ષેત્રની રચના થઈ શકે છે. આ સ્થિતિ 1 જૂને કેરળમાં ચોમાસા લાવવા માટે અનુકૂળ છે."
હવામાન વિભાગે 15 મેના રોજ જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે 5 જૂને ચોમાસુ દક્ષિણ રાજ્યમાં ત્રાટકશે. તે ચોમાસાની સામાન્ય તારીખ કરતા ચાર દિવસ પછીની તારીખ છે.
કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂનથી શરુ થાય છે. જો કે, બંગાળની ખાડી ઉપર ચક્રવાતની સ્થિતિના નિર્માણને કારણે ચોમાસાની ગતિમાં મદદ કરે તેવી સંભાવના છે.