નવી દિલ્હી: સરકારે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ઘરે લઈ જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના ગૃહ રાજ્યોમાં પરત લાવવા નવી માર્ગદર્શિકા જારી કરી છે. નવા ઓર્ડરમાં જણાવાયું છે કે તેઓને ખાસ ટ્રેનો દ્વારા પરત લાવવામાં આવશે.
સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે આ લોકોને રેલવે મંત્રાલય દ્વારા સંચાલિત ટ્રેનો દ્વારા પરત મોકલવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ટ્રેન લિંગમપલ્લીથી હટિયા, અલુવાથી ભુવનેશ્વર, નાસિકથી લખનઉ, નાસિકથી ભોપાલ, જયપુરથી પટના અને કોટાથી હટિયા દોડશે.
રેલ્વે મંત્રાલયે કહ્યું હતું કે, રાજ્ય સરકારોની અપીલ ઉપર ટ્રેનો દોડાવવામાં આવશે. આ દરમિયાન પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. રેલ્વે અને રાજ્ય સરકારો આ માટે નોડલ અધિકારી તરીકે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરશે.
પ્રોટોકોલ મુજબ, બધા મુસાફરોએ સ્ક્રીનીંગ કરાવવી પડશે. ફક્ત જેમને ચેપના લક્ષણો નથી, તેમને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. મુસાફરો મોકલનારા રાજ્યો તેમને બસોમાં રેલ્વે સ્ટેશન પર લાવશે અને આ સમય દરમિયાન સામાજિક અંતર અને અન્ય તમામ પ્રોટોકોલોનું પાલન કરવામાં આવશે.
લક્ષ્ય સ્થાન પર પહોંચ્યા પછી, મુસાફરોની ફરીથી તપાસ કરવામાં આવશે. જો જરૂરિયાત લાગશે તો તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.