- ગીતાને પાકિસ્તાનથી ભારત આવ્યે 5 વર્ષ થઈ ગયાં
- ગીતાને હજી તેનો વિખૂટો પડેલો પરિવાર મળ્યો નથી
- MP સરકારની સૂચના બાદ સ્થાનિક NGO મદદે આવ્યું
નાંદેડ/મહારાષ્ટ્ર: પાકિસ્તાનથી 5 વર્ષ પહેલાં સ્વદેશ પરત આવેલી ગીતાને હજી તેનો પરિવાર મળ્યો નથી. ગીતા હજી પણ તેના પરિજનોની શોધ કરી રહી છે. આ સંદર્ભમાં મધ્યપ્રદેશ સરકારની સૂચના મળ્યા બાદ એક સ્થાનિક NGO પણ ગીતાની મદદે આવ્યું છે. મહારાષ્ટ્રના નાંદેડમાં ગીતાન પરિવારની શોધ દરમિયાન ઈટીવી ભારતે સાઈન લેંગ્વેજના જાણકાર જ્ઞાનેન્દ્ર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગીતાને તેનો પરિવાર શોધવા માટે અનેક સ્થળ પર લઈ જઈને તેની મદદ કરવામાં આવી રહી છે. ગીતાના પરિવારને શોધવામાં ઈટીવી ભારત પણ લોકોને વિશેષ અપીલ કરી રહ્યું છે.
દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના વિશેષ પ્રયત્નો બાદ વર્ષ 2015માં પાકિસ્તાનથી ભારત પરત લાવવામાં આવેલી ગીતાને હજી પણ તેનો પરિવાર મળ્યો નથી. તેના પરિવારને શોધવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે. ભારત પરત ફર્યા બાદ ગીતા તેના પરિવારને શોધી રહી છે, જે આશરે 20 વર્ષ પહેલાં તેનાથી અલગ થઈ ગયો હતો. ગીતા મુકબધિર છે. તેમ છતાં તેણે પરિવારને શોધવાની હિમ્મત છોડી નથી. હવે તે મહારાષ્ટ્ર અને તેના પાડોશી રાજ્ય તેલંગણામાં પોતાના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, દિવ્યાંગોની મદદ માટે ઈન્દોરમાં ચાલતી સંસ્થા 'આનંદ સર્વિસ સોસાયટી' ગીતાની સંભાળ રાખી રહી છે. મધ્યપ્રદેશના સામાજિક ન્યાય અને જન કલ્યાણ વિભાગ દ્વારા આ NGOને ગીતાના પરિવારને શોધવાની જવાબદાવી સોંપવામાં આવી છે. સંગઠનના સાંકેતિક ભાષાના નિષ્ણાંત જ્ઞાનેન્દ્ર પુરોહિત ગીતાના પરિવારની શોધ માટે રવિવારથી શરૂ કરાયેલી આ યાત્રામાં ગીતાની સાથે તેના માર્ગદર્શક બનીને રહે છે.
તેમણે જણાવ્યું કે, હાલમાં અમે મહારાષ્ટ્રના મરાઠાવાડા ક્ષેત્રમાં છીએ. આગામી 7 દિવસ સુધી અમે મરાઠાવાડા અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં ગીતાના વિખૂટા પરિવારને શોધવાનો પ્રયત્ન કરીશું. જ્ઞાનેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે, ગીતા સાથે સાંકેતિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેનું મૂળ નિવાસ મરાઠાવાડા અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં હોઈ શકે છે. જ્યાંથી આશરે બે દાયકા પહેલાં તેના પરિવારથી વિખૂટી પડીને રેલવે દ્વારા પાકિસ્તાન પહોંચી ગઈ હતી.