મુંબઈ: કોરોનાનો કહેર હવે ભારતમાં ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈનાં પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે સોમવાર સાંજે 7 વાગ્યાથી જ સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરવામાં આવ્યું છે.
મંદિર ક્યારે ખુલશે તે વિશે સૂચના બાદમાં આપવામાં આવશે. મુંબઈનું આ મંદિર ભીડભાડવાળા વિસ્તારમાં આવે છે. આવામાં કોરોના વાયરસનાં ખતરાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં કુલ 38 કેસ સામે આવવાથી રાજ્યભરમાં હડકંપ મચ્યો છે. તમામ સ્કૂલો અને કૉલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. હવે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે કે યૂનિવર્સિટીની પરિક્ષાઓ પણ રદ કરવામાં આવે. આ ઉપરાંત પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પણ ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ મામલા અત્યાર સુધી પુણેમાં આવ્યા છે પરંતુ ધીમે-ધીમે મુંબઈમાં કોરોના પોઝિટિવ આવતા લોકોની સંખ્યા વધી રહી છે, જેથી સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા જ કલમ 144 લાગૂ કરીને ગ્રુપ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાં સુધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પણ તમામ શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પુણેમાં 16, મુંબઈમાં 8, નાગપુરમાં 4, રાયગઢ, નવી મુંબઈ અને યવતલામમાં 3, કલ્યાણ, ઔરંગાબાદ, અહમદનગર, ઠાણેમાં એક-એક પીડિતો સામે આવ્યા છે. બીજીતરફ મુંબઈ પોલીસે અબરાર મુશ્તાક નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર આરોપ હતો કે તેણે એક મહિનાને સર્જિકલ માસ્ક વેચવાના નામ પર 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.