નવી દિલ્હી: કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, જાહેર પરિવહન સેવાઓ ટૂંક સમયમાં ફરી શરૂ કરી શકાય છે. સરકાર જાહેર પરિવહનના ઉપયોગ દરમિયાન કોરોનો વાઇરસના ફેલાવાને રોકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતના બસ અને કાર ઑપરેટર્સના સભ્યોને સંબોધન કરતા માર્ગ પરિવહન, હાઇવે અને એમએસએમઈ પ્રધાન, ગડકરીએ કહ્યું હતું કે, જાહેર પરિવહન ટૂંક સમયમાં ફરી શરૂ થવાની સંભાવના છે. જો કે, આ માટે એક માર્ગદર્શિકા હશે.
તેમણે જણાવ્યું હતું કે, પરિવહન અને રાજમાર્ગો ખુલવાની સાથે લોકોમાં વિશ્વાસ આવશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે લોકોએ સામાજિક અંતર જાળવવા અને બસો અને કાર ચલાવવા દરમિયાન તમામ સુરક્ષા પગલાં જેમ કે હાથ ધોવા, માસ્ક વગેરે અપનાવવા પડશે.
યાત્રી પરિવહન ઉદ્યોગ માટે રાહત પેકેજની માંગ અંગે ગડકરીએ કહ્યું હતું કે સરકાર તેમની સમસ્યાઓથી સંપૂર્ણ રીતે જાગૃત છે અને તેઓને તમામ શક્ય મદદ પૂરી પાડશે.