આદિવાસી સમાજને મોદી સરકાર દ્વારા મોટું નુકસાન કર્યું હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ મંગળવારે પારડી ખાતેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કર્યો હતો. આ આક્ષેપના જવાબમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનું દેસાઈએ આદિવાસી સમાજને ભાજપનું ઘરેણું ગણાવી ગત વિધાન સભામાં ભાજપે કોંગ્રેસના કબ્જામાં રહેલી ધરમપુર બેઠક કબજે કરી હોવાનું જણાવ્યું હતું


એક તરફ કોંગ્રેસે વલસાડના પારડીમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત ચાવડા અને પરેશ ધાનાણીના હસ્તે કરાવી આગામી 14મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીના ધરમપુર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ ભાજપે પણ દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં ત્રણ જિલ્લાની કાર્યકર બેઠકનું આયોજન કર્યું છે. ત્યારે રાહુલ ગાંધીની જાહેર સભા અને આદિવાસી સમાજને મોદી સરકારે અન્યાય કર્યો હોવાના અમિત ચાવડા અને પરેશ ધાનાણીના આક્ષેપ અંગે પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા પ્રમુખ કનું દેસાઈએ આદિવાસી સમાજને ભાજપનું ઘરેણું ગણાવ્યું હતું. વધુમાં કનું દેસાઈએ જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકારે સુશાસન આપ્યું છે. વિદેશમાં વિદેશનીતિથી ભારતની શાખ વધારી છે. કોંગ્રેસે તો રાષ્ટ્રીય પક્ષ તરીકેનું પણ સ્થાન ગુમાવ્યું છે.


જ્યારે રાહુલ ગાંધીના ધરમપુર પ્રવાસ અંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે ગત વિધાનસભા વખતે રાહુલ ગાંધીએ વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી, વલસાડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમ છતાં ભાજપ પોતાની પારડી, વલસાડ,ઉમરગામ બેઠક જાળવી રાખી કોંગ્રેસના કબ્જાવાળી ધરમપુર સીટમાં ભાજપે 22000 હજારના મતથી વિજય મેળવ્યો હતો. અને કપરાડા બેઠક પર આ પહેલા 18 હજાર મતોથી હાર મેળવી હતી. તે બેઠક પર 2017માં માત્ર 170 મતથી જ હાર મેળવી હતી જે બતાવે છે કે આદિવાસી સમાજ ભાજપ સાથે છે. અને મોદી સરકારના કામની સરાહના કરે છે. આ વિસ્તારમાં નરેન્દ્ર મોદીએ વર્ષો સુધી કામ કર્યું છે. અને આદિવસી સમાજના ઘર ઘર સુધી તેના સંપર્કો છે. આગામી લોકસભામાં ચૂંટણીમાં વલસાડ જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપ પોતાની વિજય પતાકા લહેરાવશે અને દિલ્હીમાં પોતાની સરકાર બનાવશે
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકાનું લાલડુંગરી રાજ્યસભા કે લોકોસભાની ચૂંટણી માટે મહત્વનું સ્થળ માનવામાં આવે છે. કોંગ્રેસે જેટલી વખત પોતાની સરકાર બનાવી છે. તેમાં દર વખતે ધરમપુરના લાલ ડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ ધરમપુરથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અને નરેન્દ્ર મોદીએ પણ ગત લોસભામાં ધરમપુરમાં સભા ગજવી હતી. ત્યારે આ વખતે ફરી એકવાર વલસાડની ધરતી પરથી લોકસભા ચૂંટણીનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. આ વખતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ધરમપુરના લાલડુંગરી પર વધુ એકવાર પસંદગી ઉતારી છે. ત્યારે આસ્થા કહો કે શ્રદ્ધાનો આ વિશ્વાસ કેટલો અને કોને ફળશે તે તો આગામી લોકસભાના પરિણામો બાદ જ ખબર પડશે.