અમદાવાદ: ભાગ્યેજ કોઈ એવું ઘર હશે કે જ્યાં સાવરણીનો ઉપયોગ નહીં થતો હોય, ઘરથી લઈને આંગણાની સાફ સફાઈમાં સાવરણી એક ઉપયોગી વસ્તું છે. વાસ્તુશાસ્ત્રની માન્યતા મુજબ સાવરણીને યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો ધન લાભ થઈ શકે છે, અને લોકો માને છે કે ઘરમાં જૂની અથવા તૂટેલી સાવરણી હોય તો તેને બદલે સારી બનાવટની નવી સાવરણી રાખવી જોઈએ.
ત્યારે આજે આધુનિક જમાનામાં પણ પરંપરાગત સાવરણીની એટલી જ બોલબાલા છે, અમદાવાદમાં આવેલા સાલમ વિસ્તારમાં ઘણા એવા કારીગરો છે જેઓ સાવરણી બનાવીને આજીવિકા રળે છે. એટલે જ આ વિસ્તારનું નામ સાવરણી માર્કેટ કે જાડુ બજાર તરીકે પણ પ્રસિદ્ધ છે.
સાવરણી બનાવવાનું મોટાપાયે કામ
વાસ્તુશાસ્ત્રની એક માન્યતા મુજબ સાવરણીને જો યોગ્ય દિશામાં મુકવામાં આવે તો ધન લાભ થઈ શકે છે, અને લોકો પણ માને છે કે ઘરમાં જૂની અથવા તૂટેલી સાવરણી હોય તો તેને બદલે સારી બનાવટની નવી સાવરણી રાખવી જોઈએ. અમદાવાદમાં આવેલું શાહઆલમ વિસ્તારમાં ઘણા કારીગરો સાવરણી બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

સાવરણી જ તેમના માટે આજીવિકાનું સાધન છે.અમદાવાદના ચંડોળા તળાવ અને મિલતનગરમાં સાવરણીનું એક મોટું બજાર છે આ વિસ્તારનું નામ સાવરણી માર્કેટ કે જાડુ બજાર તરીકે પણ પ્રસિદ્ધ છે. અહીં વહેલી સવારથી મોડી સાંજ સુધી મોટાપાયે સાવરણી બનાવવાનું કામ અને વેચાણ કરવામાં આવે છે.

આઠ રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીની સાવરણી
પહેલા વિસ્તારમાં 30 થી વધુ સાવરણીની દુકાનો હતી પણ હવે 15 થી 20 દુકાનો છે, જ્યાં વિવિધ પ્રકારની સાવરણીઓ મળે છે, અહીં આઠ રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીની સાવરણીઓ મળી રહે છે. વ્યાજબી કિંમત તેજમ સસ્તા અને ટકાઉ સાવરણી ખરીદવાનું આ એક વિશ્વસની સ્થળ છે જ્યાં લોકો અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદની બહારથી પણ સાવરણી ખરીદવા માટે આવે છે.

'અમે સાવરણી બનાવીએ છીએ. ચંડોળા તળાવ પાસે એક દુકાનમાં સાવરણી બનાવીને ગુજરાન ચલાવીએ છીએ, સાવરણી બનાવીને તેમજ વેંચીને દરરોજ 400 થી 500 રૂપિયા કમાણી કરીએ છીએ. અહીં જુદી જુદી પ્રકારની સાવરણી બનાવવામાં આવે છે, અને અલગ અલગ વજનની સાવરણી બને છે, જેમાં 300 ગ્રામ, 200 ગ્રામની સાવરણી 40 થી 50 અને 60 રૂપિયા વેચવામાં આવે છે. - રાઉફ શેખ, સાવરણી બનાવનાર કારીગર
'હું લગભગ 40 વર્ષથી સાવરણી બનાવું છું, અને સવારથી સાંજ સુધી સાવરણી બનાવીને ગુજરાન ચલાવું છું, આ સાવરણીનું મટીરીયલ આસામથી આવે છે, આ માલ આસામથી અહીંય આવ્યા બાદ તેમનું કટિંગ કરવામાં આવે છે, પછી કારીગરો એને લઈ જાય છે, અને પોતાના ઘરો અને દુકાનોમાં વજન પ્રમાણે સાવરણી બનાવે છે, આ સાવરણી બનાવવામાં સારી એવી મહેનત લાગે છે, પરંતુ સાવરણી બનાવવામાં માસ્ટર થઈ ગયેલા કારીગરો એક મિનિટમાં એક સાવરણી બનાવી લે છે, ફિનિશિંગની સાવરણી બનાવવામાં એક થી બે મિનિટ લાગે છે, અને દરરોજ અમે 200 કરતાં વધારે સાવરણી બનાવી લઈએ છીએ અને એક સાવરણી બનાવવા માટે અમને 2.50 રૂપિયા મળે છે આમ દિવસભરમાં 400થી 500 રૂપિયા પ્રતિ દિવસ કમાઈ લઈએ છીએ. ચંડોળા તળાવ પાસે આ સાવરણીની લગભગ ૨૦ જેટલી દુકાનો આવેલી છે અને 100 કરતાં વધારે કારીગરો અહીંયા સાવરણી બનાવવાનું કામ કરે છે. આ સાવરણી ખરીદવા માટે ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાંથી લોકો આવે છે' - પરેશભાઈ, સાવરણી બનાવનાર કારીગર
ગ્રાહકોને પણ અહીંની સાવરણી વધારે માફક આવી રહી છે. આ અંગે મનોજ કુમાર નામના ગ્રાહક જણાવે છે કે, તેઓ વટવાથી ખાસ અહીં સાવરણી લેવા માટે આવ્યા છે, અને તેમણે 25 જેટલી સાવરણી ખરીદી છે. તેઓ ઉમેરે છે કે, તેઓ સફાઈ કરવા માટે હંમેશા અહીંયાથી જ સાવરણી લઈ જાઈ છે.

ધોળકાથી આવેલા સુરેખાબેન નામના ગ્રાહક જણાવે છે કે, તેઓ ખાસ ધોળકાથી સાવરણી લેવા માટે આવ્યા છે, તેમણે નાયલોન ઘાસની જાડુ વધારે પસંદ છે અને દર વર્ષે અહીંથી સાવરણી લઈ જાય છે. તેમણે કહ્યું કે, તેઓ બે ડઝન સાવરણી અત્યારે લઈ જઈ રહ્યાં છે. તેઓ આખા વર્ષ માટે અહીંથી બે-બે ડઝન સાવરણીઓ લઈ જાય છે. તેઓ ઉમેરે છે કે, અહીંની સાવરણી ટકાઉ અને સારી બનાવટની હોય છે, એટલે અમે અહીંયા થી સાવરણી ખરીદવાનું પસંદ કરીએ છીએ.