મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાનીને મુબઈની પાસે આવેલા ઔદ્યોગિક શહેર ભિવંડીની એક મસ્જિદમાં દર્દીઓ માટે મફત ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની ખાનગી હોસ્પિટલ બંધ હોવાને કારણે અને સરકારી હોસ્પિટલોનું કોવિડ હોસ્પિટલમાં બદલાવ કર્યા બાદ શહેરના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. આ જ કારણ છે કે, હાલના સમયમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.
આને ધ્યાનમાં રાખીને ભિવંડી શહેરના શાંતિનગર વિસ્તારમાં સ્થિત જમાત-એ-ઇસ્લામી ઈન્ડિયા અને મક્કા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા મસ્જિદની અંદર પાંચ ડોકટરોની ટીમને પાંચ ઓક્સિજન બેડ અને 10 ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા. જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓને ઓક્સિજ આપી શકાય અને તેને રાહત મળે. મસ્જિદ ટ્રસ્ટના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી રહી છે.
મક્કા મસ્જિદના ટ્રસ્ટી રિયાઝ શેખે ઇટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું કે, મસ્જિદમાં પાંચ ઓક્સિજન બેડ અને 10 સિલિન્ડરની મદદથી આશરે 123 દર્દીઓને મફત ઓક્સિજન આપવામાં આવ્યો છે. રિયાઝ શેખે કહ્યું કે, મસ્જિદ એ ફક્ત નમાઝ અદા કરવાની જગ્યા નથી, અહીં લોકોને લાભ થાય તેવા કાર્યો પણ થવા જોઈએ.