હૈદરાબાદ: હૈદરાબાદના સાઈબરાબાદમાં ગુજરાતી સમાજ દ્વારા 20 થી 22 ઓક્ટોબર એમ 3 દીવસીય નવરાત્રીનું આયોજન 'દાંડિયા રમઝટ 2023'ના શિર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. છેલ્લાં 11 વર્ષથી સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન એટલે કે CGAના નેજા હેઠળ આ પ્રકારનું શાનદાર આયોજન કરવામાં આવે છે. જેમાં હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને રાસની રમઝટ બોલાવે છે.
હૈદરાબાદમાં ઉભર્યુ મિની ગુજરાત: ખાસ વાત એ છે ન માત્ર ગુજરાતીઓ પરંતુ અન્ય રાજ્યના લોકો પણ અહીં ગરબા રમવા માટે આવે છે અને ગુજરાતી ગરબા સાથે રાસનો ધમધમાટ બોલાવે છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં 30 થી 40 ટકા લોકો બીજા રાજ્યના પણ જોવા મળ્યા હતા. ગરબા પ્રેમીઓએ સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશનની વ્યવસ્થા અને આયોજનની પણ પ્રશંસા કરી હતી.
CGA દ્વારા આયોજન: મહત્વપૂર્ણ છે કે, સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન ગ્રુપ દ્વારા દર વર્ષે આ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવે છે. તેથી હૈદરાબાદમાં વસતા લોકો અને ગરબા પ્રેમીઓ પણ આ અહીં ગરબા રમવા માટે થનગનતા હોય છે. નોંધનીય છે કે, સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન દ્વારા આ પ્રકારે નવરાત્રી ઉજવવાની શરૂઆત 11 વર્ષ પહેલાં કરવામાં આવી હતી ત્યારે ફક્ત 50 થી 100 લોકો જ અહીં રમવા આવતા હતા પણ અત્યારે આ ગ્રુપ એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી રહ્યું છે. ગુજરાતી સાથે નોનગુજરાતી લોકો પણ હવે ગુજરાતના રંગે રંગાવા લાગ્યા છે.