અમરેલી: આજે 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. આ દિવસ સમગ્ર વિશ્વમાં કોમ્યુનિકેશનના એક મહત્વપૂર્ણ માધ્યમની સરાહના કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે મળો અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલને, જેમનું ઘર એટલે જાણે 'રેડિયો મ્યુઝિયમ' જોઈ લ્યો.... તેમના ઘરે વાલ્વવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી વિવિધ 200 રેડિયોનો સંગ્રહ છે. સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે.
સુલેમાન દલે મુંબઈના ચોર બજારથી લઈને અલંગ સુધી જુદાં-જુદાં શહેરમાંથી વિવિધ પ્રકારના રેડિયો એકઠા કર્યા છે અને સંગ્રહ કરી મ્યુઝિયમ બનાવ્યું છે. તેમણે એકઠા કરેલા તમામ રેડિયો હજુ પણ ચાલુ હાલતમાં છે. આમ, સુલેમાન દલની રેડિયો પ્રત્યેની ભાવના ઉડીને આંખે વળગે તેવી છે. બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવાં રેડિયોને પણ મૂળભૂત સ્થિતિમાં લાવી અને રેડિયો શરુ કરવાનો શોખ ધરાવતા સુલેમાન દલ એટલે 'રેડિયો મેન' ઓફ ચલાળા.
‘વિશ્વ રેડિયો દિવસ’: 13 ફેબ્રુઆરી એ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે કે મોબાઈલમાં પણ રેડિયોનો સમાવેશ કરવો પડ્યો છે. આ પગલું કમ્યુનિકેશનના જગતમાં રેડિયોની મહત્તા દર્શાવે છે. 'વિશ્વ રેડિયો દિવસ' ની તારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરી, 2012 ના રોજ પ્રથમ વાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ વર્ષે 13 મી ફેબ્રુઆરીએ જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનાર છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે. જોકે, હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળા એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઈટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે.
77 વર્ષીય સુલેમાન દલ પાસે વિવિધ કંપનીઓના રેડિયો છે: રેડિયોના શોખ વિશે માહિતી આપતા સુલેમાન દલના મિત્ર બકુભાઇ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ શરુ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. 77 વર્ષીય સુલેમાન દલ પાસે વિવિધ કંપનીના, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે. તેઓ આ રેડિયો ફક્ત સંગ્રહ માટે જ નથી રાખતા પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક-એક પાર્ટ વિશે જાણકારી હોય છે. બંધ હાલતમાં મળી આવેલ રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી તેઓ જાતે જ રિપેર કરી તેને શરુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે.
![રેડિયો મેન સુલેમાન દલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23535514_th.png)
રેડિયો મેન તરીકે ઓળખાતા સુલેમાન દલના જણાવે છે કે, 'હું વર્ષ 1964 માં અમરેલી ખાતે સુલેમાન દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો હતો. ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જોકે, રેડિયો સંગ્રહની શરૂઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ 2000 થી કરી હતી.'
રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે સુલેમાનભાઈ પાસે વાલ્વવાળા વિવિધ 72 રેડિયો છે, જ્યારે 122 જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ 200 રેડિયો સંગ્રહમાં છે. આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે.
રેડિયોના ચાહક-સાધક અને 'રેડિયો મેન': સુલેમાનભાઈના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવિથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ 32 બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી 'રંગભૂમિના રંગો' નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાન દલની યાદો રેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને 'રેડિયો મેન' છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઈલેકટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વિડીયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. પણ રેડિયો સાથે તેમની આગવી લાગણી અને પ્રેમ છે. આથી, દેશ આઝાદ થયો એ પહેલાના અતિ દુર્લભને ક્યારેય કલ્પના ન હોય એવા રેડિયો પણ તેમના પાસે જોવા મળી જાય છે.
![બંધ અને બિસ્માર રેડિયોને આપે છે નવજીવન સુલેમાન દલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23535514_th2.png)
ભારતમાં રેડિયોની ઉત્પત્તિ અને ઇતિહાસ: રેડિયોનો ઇતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ 1923 માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રચારકાર્ય શરૂ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923 માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર 1935 માં એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જોકે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936 ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 'ઓલ ઇન્ડિયા રેડિયો' (All India Radio) ની સ્થાપના કરવામાં આવી.
દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ 1956 માં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’નું નામ "આકાશવાણી: રાખવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટ ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ 1939 માં રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. ઈ.સ. 1949 માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: