સુરત: લોકસભા ચૂંટણીના મતદાન માટે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સુરતની સોસાયટીઓના પ્રમુખો અને સેક્રેટરીઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જે ચૂંટણી યોજાઈ હતી. તેમાં સિમ્પથીને કારણે કોંગ્રેસને 403 બેઠકો મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહાનુભુતિની લહેર વગર વિકાસના કામો થકી 400થી પણ વધુ સીટો મેળવશે.
કોંગ્રેસને વધારે મત મળ્યા: સીઆર.પાટીલે જણાવ્યું હતું કે, ઇતિહાસ લખવા માટેની આપણને એક તક મળી છે. આ ઇતિહાસ લખવાની તકને સ્વર્ણ અક્ષરે લખવાની તક મળી છે. તમને કદાચ ખબર હશે. વર્ષ 1984માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. પછી જે લોકસભાનું ઇલેક્શન આવ્યું. ત્યારે ઇલેક્શનમાં જે કોંગ્રેસને મત મળ્યા. તેમની હત્યા થઈ તે પહેલા જે બધી સીટો પર ભારતીય જનતા પાર્ટીને બહુમત મળતો હતો. પરંતુ ઇન્દીરા ગાંધીની હત્યા પછી જે બીજો સ્પેલ આવ્યો એની અંદર કોંગ્રેસને વધારે મત મળ્યા હતા.
રાજીવ ગાંધીને 403 બેઠકો મળી: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કારણ કે, એક મહિલા વડાપ્રધાન એમને એમના ઘરની અંદર હત્યા થાય તો આપણે તો લાગણીશીલ લોકો છીએ. એક સહાનુભુતિ ઊભી થાય અને એમના કારણે એમને વધારે મત મળ્યા. એ તો ત્યારે જે સરકાર બદલાઈ ગઈ હોત. જે ઇલેક્શન થયું એમાં તો રાજીવ ગાંધીને ઉમેદવાર તરીકે આગળ કર્યા અને તેમને લગભગ 403 બેઠકો મળી. રાજીવ ગાંધી પણ પોતે ત્રણ લાખ મતોથી ચૂંટાયા હતા. આ વખતે 400 પાર છે. તો 400 પર એટલે કેટલું ? આપણે 403 પાર તો કરવાનું જ છે તેનાથી પણ વધારે એક રેકોર્ડ કરવા માટેની આ તક આપણી પાસે છે.