રાજકોટ: વર્ષ 2024-25 માટે રાજકોટ મહાનગર પાલિકાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, તેની સાથે જ વર્ષ 2023-24 માટે થયેલા ખર્ચ-આવકના આંકડા પણ રજૂ કરાયા હતા. વર્ષ 2023-24ના સુધારેલા અંદાજમાં રૂ. 2334 કરોડના મૂડી આવકના અંદાજ સામે રૂ. 435.2 કરોડની આવક ઘટી હતી. તો રૂ.1899.96 કરોડ આવતા ખર્ચ પણ ઘટી ગયો હતો.
રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર : વર્ષ 2023-24માં બજેટના અંદાજ અને ખરેખર સરવૈયામાં મુખ્યત્વે મૂડી આવક એટલે કે, સરકારમાં જે આવક થાય છે, તે ગ્રાન્ટ અને જમીન-શોપિંગ સેન્ટરના વેચાણથી થતી આવક હોય છે. વર્ષ 2023-24નાં બજેટમાં જમીન વેચાણ પેટે 400 કરોડ અને શોપિંગ સેન્ટર વેચાણ પેટે 16.36 કરોડની મુડી આવક થશે, તેવો અંદાજ મુકાયો હતો. પરંતુ આ જમીનના વેચાણ કોર્ટ કેસ કે, અન્ય કારણોને લીધે અટકી ગયા છે. પરીણામે કોર્પોરેશનને મૂડી આવકમાં મોટુ ગાબડું પડી ગયું હતું.
વર્ષ 2023-24ના રજુ કરેલા અંદાજમાં મ્યુનિસિપલ કમિશ્નરે 1292.15 કરોડની મૂડી આવક બતાવી હતી. પરંતુ હાલ રજૂ થયેલા આંકડા પ્રમાણે મૂડી આવક ફકત 946.40 કરોડની આવી હતી. જેને પરિણામે ખર્ચમાં પણ બજેટના અંદાજ કરતા ઘણો બધો કાપ મુકવો પડયો હતો.
લીવેબલ થીમ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું: મહેસુલી ખર્ચમાં કરકસરતા દાખવતા રુ. 871.95 કરોડના અંદાજ સામે 798.83 કરોડનો ખર્ચ થયો હતો. જયારે રુ. 1488.33 કરોડના મૂડી ખર્ચ સામે ફકત 646.41 કરોડનો મૂડી ખર્ચ જ થઇ શક્યો હતો. રૂ. 501.70 કરોડની સિલક બેલેન્સ શીટમાં દર્શાવાઈ છે. રાજકોટ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું કે, આજે રુ. 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત લીવેબલ થીમ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લીવેબલ થીમ એટલે કે, શહેરને વધુ લીવેબલ બનાવવા માટે લીવેબલ સિટીના વૈશ્વિક માપદંડોને ધ્યાનમાં રાખી આયોજન કરી ફંડની ફાળવણી પણ કરવામાં આવી છે.
![રાજકોટ મનપા કમિશ્નરે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ, ખર્ચ-આવકના આંકડા રજૂ કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2025/gjrjk0131janmahanagarpalikabudgetravi_31012025181353_3101f_1738327433_650.jpg)
માળખાકિય સુવિધા મજબૂત કરાશે: લીવેબલ ઈન્ડેક્ષ મુજબ મુખ્યત્વે માળખાકીય સુવિધા જેવી કે, શિક્ષણ અને આરોગ્ય, તેમજ સામાજિક, આર્થિક, ભૌતિક અને સંસ્થાકીય સુવિધા મજબૂત બનાવવામાં આવશે. જેમાં બજેટનું વિતરણ 59%, ભૌતિક, 6%, આર્થિક 18%, સામાજિક અને 17% સંસ્થાકીય ફાળવણી કરવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જાહેર પરિવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી CNG બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલું છે. એટલું જ નહી, હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં AI સિસ્ટમનો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે. જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકઅપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.
ડ્રાફ્ટ બજેટમાં જંગી વધારો ઝીકવામાં આવ્યો: મનપા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો છે. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરીને 11ના બદલે 15 રૂપિયા કરવાનું સૂચન કરાયું હતું. જયારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કર્યું છે, એટલે કે, મકાનવેરા મારફત આ વધારાથી મનપાને 40 કરોડની આવક થવાની ધારણા છે. જયારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 4 ગણો વધારો કરી રહેણાંક મિલકતો માટે 365થી વધારી સીધો 1460 રૂપિયા અને બિન રહેણાંક મિલકતો માટે બમણો વધારો કરી 2920 રૂપિયા કરવા સૂચન કર્યું છે.
આ પણ વાંચો: