પોરબંદર: જેતપુર પ્રદુષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યું છે. જેતપુર 'ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ' (Deep Sea Pipeline Project) રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ માંગ છે. 'સેવા પોરબંદર સી' અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજે પોરબંદરમાં શનિવારના રોજ દરીયાઈ પટ્ટીના ગામની ઈમરજન્સી બેઠકનું આયોજન કર્યું હતું. જે માટે સૌ પ્રથમ જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમાં શનિવારથી બે દિવસીય ખારવા સમાજની બેઠક શરૂ કરવામાં આવી છે. ગુજરાત ખારવા સમાજે ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આ પ્રોજેકટ રદ નહી થાય તો ખારવા સમાજ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટના દ્વાર પણ ખખડાવશે.
દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વનો મોટો પ્રશ્ન: ગુજરાત ખારવા જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર હમેંશા સાગરખેડૂનાં હિતને અને એના સર્વાંગી વિકાસને લઈ ચિંતિત રહ્યા છે તથા તેના ઉકેલ માટે હમેંશા સતત પ્રયત્નો કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને ફેકટરીઓ દ્રારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમીકલ યુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા હતો. પરંતુ સરકાર દ્રારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમીકલ યુક્ત પાણીના યોગ્ય નિકાલ માટે રીયુઝના આદેશ આપવાના જગ્યાએ આ કેમીકલ વેસ્ટ રાજ્યનાં સમુદ્રમાં નાખવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત આ કર્યા માટે “ડીપ સી ડિસ્પોઝલ પાઈપલાઈન પ્રોજેકટ'ની પણ પરવાનગી આપી છે. પરંતુ આ નિર્ણયના કારણે રાજ્યનાં માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલી છે. આ તમામ ફેકટરીઓનાં કેમીકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે. તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમીકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનો પણ શિકાર બની શકે છે.
દરિયાઈ જીવસૃષ્ટિ ભૂતકાળ બની જશે: જેતપુરથી પોરબંદર સુધી ઉપલેટા, માણાવદર, કુતીયાણા વિસ્તારનાં ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીની પાઈપ લાઈનમાં જો ક્યાંય પણ લીકેજ થશે તો ખેડૂતોની જમીન પણ ઝેરી કેમીકલ યુક્ત બની બંજર બની શકે છે. ભૂતકાળમાં અમેરીકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ સીમામાં જોવા મળતા કાચબા પર માઠી અસર થાય તેવી બાબતમી આપી હતી. આ બાબતને ધ્યાને રાખી રાજ્યમાંથી એકસપોર્ટ થતી મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લાદવામાં આવેલ હતો.
ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઇ કુહાડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં જોવા મળતી વ્હેલ શાર્ક, ગ્રીન સી, દરિયાઈ કાચબા, ડોલ્ફીન જેવી 'વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન' હેઠળ શેડયુઅલ-1 માં આવતા આ દરિયાઈ જીવોનાં સંરક્ષણ પ્રત્યે માછીમારો સભાન રહી સક્રિયપણે તેનું જતન કરી રહ્યાં છે. આ કેમીકલ વેસ્ટ દરિયામાં ઠલવાતા આ દરિયાઈ જીવસૃષ્ટિ પણ ભૂતકાળ બની જશે. “ડીપ સી ડિસ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેકટ તાત્કાલીક અસરથી રદ કરાવવા ગુજરાત સરકારને ખારવા સમાજે રજૂઆત કરી છે.
આ પણ વાંચો: