જામનગર: જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જામજોધપુર નગરપાલિકામાં 58.12 ટકા, ધ્રોલમાં 68.05 ટકા, કાલાવડમાં 63.16 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
જામજોધપુર નગરપાલિકાની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન થઈ છે, અને કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકમાં ભાજપના ઉમેદવાર, જયારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. જામજોધપુર નગરપાલિકાની કુલ સાત વોર્ડની 28 બેઠકો પર મતદાન થયું હતું, જેની આજે સવારે મત ગણતરી હાથ કરવામાં આવી હતી, અને કુલ 27 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે, અને તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એકમાત્ર વોર્ડ નંબર સાતમાં એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. વોર્ડ નંબર પાંચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલજીભાઈ સોમાભાઈ વિંઝુડા કે જેઓને 544 મત મળતાં તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
ધ્રોલ નગરપાલિકાની કુલ સાત વૉર્ડ પૈકી વોર્ડ નંબર -7 માં એક ઉમેદવારનું આકસ્મિક અવસાન થતાં વોર્ડ નંબર 7 ની ચૂંટણી કેન્સલ થઈ હતી, જ્યારે બાકીના ૬ વોર્ડની 24 બેઠકો પૈકી 15 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આઠ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં બહુજન સમાજવાદી પાર્ટીના ગીતાબેન ગૌતમભાઈ ચૌહાણને 1774 મત મળતાં તેઓને વિજેતા જાહેર કરાયા છે.
કાલાવડ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
કાલાવડ નગરપાલિકાની સાત બોર્ડની 28 બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, અને તેમાં પણ તમામ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. કાલાવડની ચૂંટણીમાં એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા, અને મત ગણતરી બાદ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, અને બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીત મળી છે. વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના પરસોત્તમભાઈ મગનભાઈ હિરપરાને 1239 વોટ મળતાં તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે વોર્ડ નંબર 6માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફાલ્ગુનીબેન મેહુલકુમાર સોજીત્રાને પણ 890 મત મળતા તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.