જૂનાગઢ: જિલ્લાના બાટવા પોલીસ મથકમાં ગત પાંચમી તારીખના દિવસે રાત્રિના 8 વાગ્યાના સમયે અમદાવાદના કલા ગોલ્ડ પેઢીના 3 સોની સેલ્સમેન લૂંટાયા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેને પગલે સમગ્ર મામલામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સમગ્ર લૂંટનું તરકટ રચાયું હોવાની કડીઓ પોલીસને મળતા ફરિયાદી જ ખુદ આરોપી નીકળ્યા હતા. ખૂબ ઓછા સમયમાં પૈસાદાર થવાની લાલચમાં આ ત્રણેય સેલ્સમેનો તરકટ રચ્યું હતું પરંતુ જૂનાગઢ પોલીસે ફરિયાદી જ આરોપી હોવાની પાકી હકીકતને આધારે ત્રણેય સોનાના સેલ્સમેનની અટકાયત કરી છે.
ફરિયાદીના સંકેત પરથી મામલો ઉકેલાયો: સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસે ખૂબ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. ફરિયાદી દ્વારા બાટવા નજીકના જે ગામોને લૂંટનું સ્થળ દર્શાવવામાં આવ્યું હતું. તે વિસ્તારના આજુબાજુના 8 ગામોની તપાસ પોલીસ દ્વારા કરાઈ હતી. જેમાં CCTV કેમેરા મારફતે તેમજ આ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય લોકોની પૂછપરછની સાથે જૂનાગઢ જિલ્લામાં આ જ પ્રકારે સોનાની ચોરી કે લૂંટમાં પહેલા ગુનેગારો પકડાયા હતા તે તમામ લોકોની પૂછપરછ કરી હતી. પોલીસને સમગ્ર મામલામાં કોઈ તથ્ય કે પુરાવા લૂંટને લઈને હાથ લાગ્યા ન હતા.
પોલીસે 400 થી વધુ CCTV કેમેરાની તપાસ કરી: પોલીસને સમગ્ર મામલામાં વધુ શંકા જતા ફરિયાદીની જ ઉલટ તપાસ તેમના સૂત્રો દ્વારા શરૂ કરી હતી. જેમાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. જે ગાડીમાં ફરિયાદીઓ અમદાવાદથી કુતિયાણા આવ્યા હતા અને કુતિયાણાથી પરત બાટવા તરફ આવ્યા હતા. આ સમય દરમિયાન ગાડી કયા વિસ્તારમાં ગઈ હતી, અમદાવાદથી લઈ અને સમગ્ર ઘટનાક્રમના રૂટ પર ક્યારે ક્યારે નીકળી હતી. તે તમામ વિગતોની સાથે કુતિયાણાથી લઈને જૂનાગઢ સુધીના સમગ્ર માર્ગમાં 400 કરતાં વધુ CCTV કેમેરાની પણ તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં લૂંટની ઘટનાને કોઈ સબળ પુરાવો પ્રાપ્ત થયાના હતા.
આરોપીઓ જૂનાગઢમાં રોકાયા: ત્રણેય ફરિયાદીઓ સોમવારે જૂનાગઢની હોટેલ રોયલ ઇનમાં રોકાયા હતા. હોટલના CCTVની સાથે જૂનાગઢ શહેરના તમામ CCTV તપાસવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈપણ પ્રકારના પ્રાથમિક પુરાવાઓ લૂંટની ઘટનાને લઈને પોલીસને મળતા ન હતા. ત્યારે ફરિયાદી જ ખુદ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા અને પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી હતી. લૂંટનું તરકટ અમદાવાદ ખાતે મુખ્ય ફરિયાદી યાજ્ઞિક જોશી અને તેના ભાઈ મોહિત જોશીએ રચ્યું હોવાની પોલીસને પાકી બાતમી નહી મળતા જૂનાગઢ પોલીસે અમદાવાદ રહેતા મુખ્ય ફરિયાદી યાજ્ઞિક જોશીના ભાઈ મોહિત જોશીને પૂછપરછ કરતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
જૂનાગઢમાં સ્ટેશનરી દુકાનમાંથી કટર ખરીદ્યું: ત્રણેય સોનાનાં સેલ્સમેનોએ લૂંટનું નાટક રચવા માટે જૂનાગઢની સ્ટેશનરીની દુકાનમાંથી કટર ખરીદ્યું હતું. જેનું ઉપયોગ ફરિયાદી યાજ્ઞિક જોશી દ્વારા તેની સાથે રહેલા ધનરાજનાં પીઠના ભાગે ઇજા કરીને લૂંટનું એક આખું નાટક ઊભું કર્યું હતું અને તમામ સેલ્સમેનોએ ખૂબ ટૂંક સમયમાં પૈસાદાર થવાની લાલચા ઊભી કરીને લૂંટનું આ સમગ્ર તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જૂનાગઢ પોલીસે લૂંટમાં જે દર્શાવવામાં આવ્યું છે. તે 1 કરોડ 90 લાખ 8,610 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને સમગ્ર મામલામાં સોનાની પેઢી સાથે સંકળાયેલા અન્ય લોકો કે અન્ય કોઈ લૂંટના કાવતરામાં સામેલ છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: