વડોદરા: તાજેતરમાં વડોદરા શહેરમાં માનવસર્જિત પૂરની પરિસ્થિતિ બાદ વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાની વડોદરા મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી હતી. જેથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઇ હતી. હાલ વિપક્ષના રડારમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા અને ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા છે. નામજોગ આરોપોનું ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે વધુ એક વખત કોંગ્રેસી આગેવાન વિનુ પટેલના પુત્ર સંદિપ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે. જેના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.
VMC ની તિજોરીને રૂ. 25 કરોડનું નુકશાન: આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સંદિપ પટેલે સનસનાટીભર્યા આરોપ મૂકતા જણાવ્યું હતું કે, સમામાં (ભાજપના વોર્ડ નં - 3 ના કોર્પોરેટર) પરાક્રમસિંહ જાડેજાનો જે સર્વે નંબરમાં બંગલો આવેલો છે. તેમાં સરકારના કાયદા મુજબ 40 ટકા કપાત કરવી પડે. જેટલી રજા ચીઠ્ઠી વડોદરા પાલિકામાં ઇશ્યુ થાય છે. તેનું વેરિફિકેશન કરીને કપાત કરવામાં આવે છે. તેમની જમીન માત્ર રોડ લાઇનમાં કપાઇ છે. વડોદરા પાલિકાએ યોગ્ય કપાત વગર કુલ બાંધકામને મંજુરી આપી છે. તેમની જમીનમાં યોગ્ય કપાત કરવામાં આવી નથી. તેમણે પાલિકાને રૂ. 25 કરોડનો ચૂનો ચોપડ્યો છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખામાં કોણે શું ભ્રષ્ટાચાર કર્યો છે ? તે હાલ અકબંધ છે. પણ પાલિકાની તિજોરીને રૂ. 25 કરોડનું નુકશાન પહોંચ્યું તેનું શું!
એક જ સર્વે નંબરમાં કપાત કરી છે: વધુમાં સંદિપ પટેલે જણાવ્યું કે, પરાક્રમસિંહની જમીનમાં 40 ટકાનું કપાત થયું નથી. શું તેનો લાભ ખેડુતોને મળશે ખરો ! આજદિન સુધી જેની જગ્યા કપાતમાં ગઇ છે. તે ખેડુતોને પાછી મળશે? હરણીમાં વુડાના પ્લાનમાં જમીનોમાં કપાત બતાવે છે. 2 સર્વે નંબરની કપાત રોડ લાઇન અંગે જાહેરનામા વગર બદલી નાંખવામાં આવી છે. 2 સર્વે નંબરમાંથી રોડ જાય છે. તેની જગ્યાએ ખાલી 1 જ સર્વે નંબરમાં કપાત કરી છે રોડલાઇન આખી બદલી નાંખવામાં આવી છે. એટલે પરાક્રમસિંહના બંગલાની સામેની તરફ રોડલાઇન ખસી છે. તેનાથી (ભાજપના પૂર્વ કોર્પોરેટર) લલિત રાજ, (ભાજપના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી) રાજેન્દ્ર ત્રિવેદીને તેનો ફાયદો થયો છે. જેથી મારી જગ્યાએ કુલ કપાત વધ્યું છે. આજે પણ વુડાના નક્શામાં 2 સરવે નંબરમાં જ રોડલાઇન દર્શાવાઇ છે.
CBI અને EDને કેસ સોંપાશે: પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભાજપ પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે. મેં પાલિકાની સભામાં કહ્યું કે, સરકારમાં લાગવગ વાળા અથવા ચૂંટાયેલ પ્રતિનિધિઓને સરકારે પરમિશન આપી હોય એમ લાગે છે. ગેરકાયદેસરને તમે કાયદેસર બનાવ્યું હોત તેને તમે તોડશો ! ત્યારે તેઓ કંઇ બોલ્યા નહીં. તેનો મતલબ થયો કે, માણસોને બચાવવાની આ તૈયારી લાગે છે. પૂર માટે જવાબદાર સરકાર છે. જમીન કપાતનો મુદ્દો સૌથી પહેલા મેં પાલિરકામાં ઉઠાવ્યો હતો. સરકાર વડોદરાને નુકશાન કરી રહી છે. સ્વિમિંગ પુલ અને ગાર્ડન માટેની જગ્યા પર કેવી રીતે બંગલો બને, અમારા નેતાઓ વિધાનસભા અને લોકસભામાં બોલશે, અમારા નેતાઓ CBI અને EDને કેસ સોંપશે. મળતિયાઓની જગ્યા દબાવી દેતા હોય, અને નાગરિકો હેરાન થતા હોય, આના માટે લડવું જરૂરી છે. આ મુદ્દો શહેરીજનોના હિતમાં છે.
ભાજપના 3 નેતાઓની જ જમીન કેમ ઝોનફેર કરાઇ: સંદિપ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ રજાચીઠ્ઠી રદ્દ થવી જોઇએ. પરાક્રમસિંહે રૂ. 25 કરોડ વ્યાજ સહિત તાત્કાલિક પાલિકામાં જમા કરાવવા જોઇએ. આ એક જ જમીન અને એક જ નેતાનું કૌભાંડ છે. ED અને CBIની આ રીતે રજાચીઠ્ઠી મેળવેલા નેતાઓ સામે તાત્કાલિક ઇન્કવાયરી બેસાડીને એક્શન લેવા જોઇએ. રાજકોટમાં જેમ થયું તેમ TDO સામે એક્શન લેવી જોઇએ. પરાક્રમસિંહ જે કોઇ કાયદેસરની કાર્યવાહી કરશે. તેનો અમે જવાબ આપીશું. ભાજપના 3 નેતાઓની જ જમીન કેમ ઝોનફેર કરવામાં આવી તેનો તેઓ જવાબ આપે. સામાન્ય જનતા અને ખેડૂતોને આ વાતનો ફાયદો કેમ નથી મળતો.
આ પણ જાણો: