કચ્છ : દર વર્ષે ઉનાળામાં આમ તો પાણીની સમસ્યા નાના મોટા પાયે સર્જાય છે. ભુજ નગરપાલિકા પાસે પણ પૂરતા પ્રમાણમાં પાણીના સ્ટોરેજ માટેના ટાંકા નહીં હોવાને કારણે ગરમીના દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા હંમેશા ખોરવાતી હોય છે, જેની સામે ટેન્કર મારફતે પાણી પહોંચાડવું પડતું હોય છે. શું આ વર્ષનો ઉનાળો પણ આવો જ રહેશે?
પીવાના પાણીની સમસ્યા સર્જાશે ? હાલ ઉનાળાની શરૂઆત પહેલા જ વિપક્ષ દ્વારા એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે એક બાજુ પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, બીજી બાજુ કોંગ્રેસ પક્ષે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે.
ભુજ શહેરની જરૂરિયાત અને સંગ્રહ : ઉનાળાના શરૂઆત બાદ ધીરે ધીરે પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી જશે તેવો કોંગ્રેસ પક્ષનો દાવો છે. ભુજ શહેરમાં પીવાના પાણીની દૈનિક જરૂરિયાત 55 MLD છે, જેની સામે ભુજ નગરપાલિકાને નર્મદાનું પાણી 10 MLD ઓછું મળી રહ્યું છે. આ ઘટ પૂર્ણ કરવા માટે ભુજ નગરપાલિકા પાસે બોર સિવાય કોઈ વિકલ્પ નથી. આ બોર પૈકી કેટલાક બોર બંધ હાલતમાં છે. જેથી દર વર્ષની જેમ આગામી સમયમાં પાણી વિતરણ માટે ટેન્કર રાજ જોવા મળશે.
ભુજ નગરપાલિકા પર "પાણી ચોરી"નો આરોપ : કોંગ્રેસ પક્ષે ભુજ નગરપાલિકા સામે પાણી ચોરીનો ગંભીર આરોપ મૂક્યો છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીનું કહેવું છે કે, શહેરને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણ મળી રહ્યું છે, પરંતુ ભુજ નગરપાલિકા ઔધોગિક એકમો તેમજ હોટલમાં પાણી વેચી રહી છે. જેના કારણે ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે. ઘરે ઘરે 4-4 દિવસે પાણી આવે છે. જો નગરપાલિકા આગોતરું આયોજન કરે તો લોકોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે અને કોઈને પણ પૈસા ખર્ચીને ટેન્કર મારફતે પાણી મંગાવવું નહીં પડે.

ટેન્કર રાજ અને પાણીની સમસ્યા વધશે : કિશોરદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે. જેના કારણે અવાર નવાર નર્મદા પાણીનું સપ્લાય બંધ થવાના કારણે શહેરમાં વિકટ પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે ઉનાળામાં ભુજમાં ટેન્કર રાજ જોવા મળે છે. ભુજ નગરપાલિકા દ્વારા અત્યારથી જ પાણીની વિતરણ વ્યવસ્થા નહીં ગોઠવવામાં આવે તો પાણીનો પોકાર ઉઠે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
ભુજ નગરપાલિકાનો દાવો...
કોંગ્રેસના આક્ષેપ અંગે ભુજ નગરપાલિકા વોટર સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું કે, ભુજ શહેરની 2.60 લાખની વસ્તી માટે દૈનિક 55 MLD પાણીની જરૂરિયાત છે, તેની સામે હાલ નર્મદાનું દરરોજ 45 MLD જેટલું પાણી મળી રહ્યું છે. ઉપરાંત ભુજ નગરપાલિકા પોતાના હસ્તકનાં 12 જેટલા પાણીના બોર પૈકી હાલમાં 7 જેટલા બોર ચાલુ છે, જેમાંથી 10 MLD પાણીની ઘટ પૂર્ણ કરવા માટે 5 MLD પાણી મળી રહ્યું છે.
સંજય ઠક્કરે વધુમાં જણાવ્યું કે, હજુ પણ 5 MLD પાણીની ઘટ જોવા મળી રહી છે. જે 5 જેટલા બોર હાલમાં બંધ છે તેને શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. બંધ પડેલા 5 જેટલા બોર શરૂ થઈ જશે તો 5 MLD પાણીની જે ઘટ છે તે પણ પૂર્ણ થશે. આગામી દિવસોમાં શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય. જોકે નર્મદાની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાશે તો શહેરમાં ફરી પાણી વિતરણ પર તેની અસર પડશે.