અમદાવાદઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ સીટના ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. રુપાલાએ 2 વાર જાહેરમાં માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત પડ્યો નથી. ત્યારે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને રાજપૂત સમાજ સંકલન સમિતિના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ છે. આ બેઠકની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર એસજી હાઇવે પકવાન ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં બેઠક મળી હતી.
આગેવાનોનું ભેદી મૌનઃ આ બેઠકમાં ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ ચર્ચા કરી હતી. કયા મુદ્દે ચર્ચા થઈ તે અંગે રાજપૂત સમાજ સંકલન સમિતિ અને ક્ષત્રિય આગેવાનો મોં ખોલવા તૈયાર નથી. ગોતા રાજપૂત ભવન ખાતે મળનાર બેઠકમાં જ જાણવા મળશે કે પરસોતમ રૂપાલા મુદ્દે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થાય છે કે નહીં. ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી. પરંતુ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાય કોઈ પણ સમાધાન ખપે નહીં તેવી જાહેરાત કરી હતી.
મીટિંગનું સ્થળ અંતિમ ઘડીએ બદલાયુંઃ ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે આવેલા રાજપૂત સમાજના આગેવાન નરેન્દ્રસિંહ સિસોદિયાએ પોતાનો બળપો વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે, સંકલન સમિતિની મીટીંગ ગોતા રાજપૂત સમાજ ભવનમાં રાખવામાં આવી હતી. તેનું સ્થળ અચાનક અંતિમ ઘડીએ બદલવામાં આવ્યું છે. ખાનગી હોટલમાં મીટીંગ ચાલી રહી છે. મીટીંગ કઈ જગ્યાએ ચાલી છે તે અંગે અમને કોઈ જાણકારી આપવામાં આવી નથી. સંકલન સમિતિના આગેવાનો કુલડીમાં શું ગોળ ભાંગે છે તે અંગે મને કોઈ જાણકારી નથી. રાજપુત સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરસોતમ રૂપાલા ની ટિકિટ કપાયા સિવાય કોઈ સમાધાન રાજપૂત સમાજને માન્ય નથી. તેમની ટિકિટ કાપીને તેમને રાજ્ય સભામાં લઈ જવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.