કચ્છ: સમાન્ય રીતે 1લી નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે. પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતા અગાઉથી હોટેલ અને ટુર્સ બૂકિંગ કરાવનારા કચ્છ બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ્દ કરાવતા થયા હોવાનું ટુર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે. બે ખાનગી કંપની વચ્ચેની લડાઇના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર અસર થશે ત્યારે હોસ્પિટલિટી સાથે સંકળાયેલા ધંધાદારીઓએ જણાવ્યું હતું કે, અફવાથી બચીને રહેવું અને રણઉત્સવ તો યોજાશે જ માત્ર ટેન્ટસિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે.
'લોકો માત્ર બુકિંગ કેન્સલ કરાવવા માટે જ ફોન કરી રહ્યા છે'
વર્ષ 2011થી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સર્વિસ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજન ઠકકરે જણાવ્યું હતું કે, રણોત્સવ તોંગુંરત ટુરિઝમ દ્વારા જે દર વર્ષે યોજાય છે તે રણોત્સવ તો યોજવાનો જ છે. મુખ્ય પ્રશ્ન ટેન્ટ સિટીનો જ છે, પરંતુ પ્રવાસીઓમાં ગેરસમજ ફેલાઇ રહી છે કે, રણોત્સવ નહીં યોજાય જેનું કારણ બે કંપની વચ્ચે ચાલી રહેલા ટેન્ડરની પ્રકિયા છે. તો 20 થી 22 તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીની સંચાલન કોણ કરશે, પરંતુ ટેન્ટસિટીના સંચાલન અને રણોત્સવને લોકો એક જ સમજી રહ્યા છે જેથી કરીને 20થી 30 ટકા લોકો એડવાન્સ બુકિંગ કેન્સલ કરવી રહ્યા છે. તો નવા બુકિંગની ઇન્કવાયરી કે જે આ સમયગાળા દરમિયાન વધારે રહેતી હોય છે ત્યારે લોકો માત્ર બુકિંગ કેન્સલ કરાવવા માટે જ ફોન કરી રહ્યા છે ત્યારે ખરેખર લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ.
'બે ખાનગી કંપનીઓ વચ્ચેની ટેન્ડર પ્રક્રિયાના કારણે પ્રવાસીઓમાં ખોટી માન્યતા'
ટૂર્સ-ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ અંશુલ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીનું આયોજન કરતી બે ખાનગી કંપની વચ્ચેની લડાઇની માઠી અસર કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર થઈ રહી છે. પ્રવાસીઓ દ્વારા જ એડવાન્સ બૂકિંગના રદ થતા ધંધામાં ખોટ થઈ રહી છે ત્યારે વિવિધ માધ્યમો થકી ફેલાઇ રહેલી ખોટી અફવા કે ગેરસમજના કારણે બહારના પ્રવાસીઓને એવું છે કે રણોત્સવ થશે કે નહીં હજુ એ જ નક્કી નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે બે ખાનગી કંપનીઓ વચ્ચેની ટેન્ડર પ્રક્રિયાના કારણે ખોટી માન્યતા પ્રવાસીઓમાં બેસી ગઇ છે.
20થી 25 ટકા લોકોએ બુકિંગ રદ્દ કરાવી
ટૂર્સ-ટ્રાવેલ્સ એસોસિયેશનમાં કચ્છમાં 50 જેટલા ટૂર ઓપરેટર સંકળાયેલા છે અને હવેનો તો મોટાભાગે ઓનલાઇન બુકિંગ જ પ્રવાસીઓ કરાવતા હોય છે. ત્યારે 20થી 25 ટકા લોકોએ તો રણોત્સવ નહીં યોજાય તેવી અફવાના કારણે એડવાન્સ બુકિંગ રદ્દ કરી દીધા છે તો કેટલાક પ્રવાસીઓને હોલ્ડ કરવા માટેના સૂચનો પણ ટુર્સ ઓપરેટર દ્વારા આપવામાં આવ્યા છે. લોકોએ ડિસેમ્બર માસની એર ટિકિટ્સ, રેલવે ટિકિટ્સ હાલમાં જ બુક કરાવી હોય છે ત્યારે રદ્દ કરાવવા તેમજ રણોત્સવ યોજાશે કે નહીં તેના માટે ફોન કરી રહ્યા છે.
7 થી 11 લાખ પ્રવાસીઓ કચ્છ આવતા હોય છે
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ- વિદેશમાં બેઠેલા 7 થી 11 લાખ પ્રવાસીઓ રણોત્સવ તેમજ કચ્છની અન્ય પ્રયત્ન સ્થળોએ રજા માણવા કચ્છ આવે છે. ત્યારે અફવાના કારણે જો લોકો અહીં પ્રવાસે નહીં આવે તો 400 થી 500 કરોડનું નુક્સાન થઈ શકે તેમ છે. ત્યારે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયા નવેસરથી 17મી તારીખે થવાની છે અને ત્યાર બાદ ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે તે સ્પષ્ટ થશે.
હોટેલ, ટુર ટ્રાવેલ્સ, હસ્તકલા, ગાઈડ જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નુકસાની
હાલમાં તો પ્રવાસીઓ દરરોજ બૂકિંગ રદ કરાવી રહ્યા છે. પ્રવાસનની સિઝનમાં હોટેલો, અગાઉથી બૂક કરાવેલી કાર કે અન્ય વાહનો અંગેના બૂકિંગ કેન્સલ થઈ રહ્યા છે. રણોત્સવમાં પ્રવાસીઓ ભલેને બહારથી આવે છે, પણ કચ્છના અન્ય પર્યટન સ્થળોએ આવવા-જવા, હોટેલોમાં રોકાણ, ગાઇડ, હસ્તકલાની ખરીદી વગેરેના કામ હવેસાથે સંકળાયેલા લોકોને નુક્સાની જશે. કારણ માત્ર એટલું જ છે કે ટેન્ટ સિટી કોણ કરશે એ જ નક્કી નથી, છતાં સમજણના અભાવે લોકોમાં અફવા ફેલાઇ ચૂકી છે જેથી પ્રવાસીઓ બુકિંગ રદ્દ કરવી રહ્યા છે.
નવી પૂછપરછ તો 80 ટકા જેટલી ઘટી ગઈ
હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિજય સોનીએ જણાવ્યું હતું કે, 4 થી 5 લાખનું હાલમાં નુકસાન થઈ ચૂક્યું છે. જે પેકેજ પ્રવાસીઓએ બુક કરાવ્યા હતા તે હવે રદ્દ કરવી રહ્યા છે અને નવી પૂછપરછ તો 80 ટકા જેટલી ઘટી ગઈ છે. ગાડીના બૂકિંગ અને હોટેલના બુકિંગ માટે પણ પર્યટકોએ ના પાડી દીધી છે. રણોત્સવના કારણે કચ્છમાં હોટેલ, ટુર ટ્રાવેલ્સ અને હસ્ટકળાનો વ્યવસાય સારી રીતે વિકસ્યો હતો અને પ્રવાસીઓને પણ ટૂર ઓપરેટર મારફતે બધી જ વ્યવસ્થા મળી જતી હતી, પરંતુ એક માત્ર અફવાના કારણે પ્રવાસીઓ તમામ બુકિંગ રદ્દ કરી રહ્યા છે. રણોત્સવ તો પરંપરાગત રીતે યોજાશે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા પણ ખુલાસો કરવામાં આવે તેવી વાત પણ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ધંધાદારીઓએ કરી હતી.
ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે તે સ્પષ્ટ થશે બાદમાં ટેન્ટનું બુકિંગ
ભુજ ખાતેની ગુજરાત ટુરીઝમ કચેરીના કર્મચારી મયંક લેઉવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રણોત્સવ તો યોજાશે પરંતુ ટેન્ટસીટીનું સંચાલન કઈ કંપની કરશે તે આગામી સમયમાં ટેન્ડર કોને લાગે છે ત્યારે નક્કી થશે. જેથી કરીને ટેન્ટ સીટીનું સંચાલન કોણ કરશે અને શું ભાવ રહેશે વગેરે બાબતો સ્પષ્ટ થશે ત્યારે પ્રવાસીઓ ટેન સિટીમાં ટેન્ટનું બુકિંગ કરાવી શકશે હાલમાં પ્રવાસીઓ દ્વારા ટેન્ટ સીટીનું બુકિંગ કરાવવામાં નથી આવ્યું તેવું જણાવ્યું હતું.