રાજકોટ: ઉપલેટાના ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતીજી વખતનો બનાવેલો મોજ નદીનો પુલ જે રાજાશાહી પુલ છે. આ પુલની ચકાસણી કરવામાં આવી હતી. ચકસણીનો રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકમ ગત 20 માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પ્રવેશ પ્રતિબંધ શરૂ થયો ત્યાં પોલીસ ચોકી આવેલી છે અને આ જ પોલીસ ચોકી સામે જિલ્લા કલેકટરના હુકમનો જાહેર ભંગ થઈ રહ્યો છે.

પોલીસ ચોકી સામેથી જ ઉલ્લંઘન થયું: ઉપલેટા મોજ નદી પર રાજાશાહી વખતનો બનેલો હેરિટેજ બ્રીજ ઉપર તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ અંગેનો પ્રતિબંધ મૂકવામાં આવતા ઉપલેટા નગરપાલિકા દ્વારા ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે એંગલ મૂકવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા એંગલોને થોડા જ દિવસોમાં તોડી પાડવામાં આવ્યા હતા.

બસ જબરદસ્તી આ એંગલમાંથી ઘૂસતા એંગલ જામ: છતાં ભારે વાહનો પ્રવેશ કરતાં હોવાને કારણે સોમવારે એક બસ જબરદસ્તી આ એંગલમાંથી ઘૂસવા જતા ફસાઈ ગઈ હતી અને ટ્રાફિક જામબ થયું હતું. જ્યારે આ બાબતને લઈને જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અને પ્રતિબંધ અંગેના હુકમનો ઉપલેટા શહેરની નગનાથ પોલીસ ચોકી સામેથી જ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના દ્રશ્યો સામે આવતા ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોંટાએ જવાબદાર તંત્રને ટકોર કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો.

100 વર્ષ જુના બ્રિજનો સ્ટેબિલીટી અને નીરીક્ષણ રીપોર્ટ: પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ધોરાજીની 20 માર્ચની દરખાસ્તથી ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાગનાથ ચોકથી ધોરાજી હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી ઉપર રાજાશાહી વખતના આશરે 100 વર્ષ જુના બ્રિજનો સ્ટેબિલીટી અને નીરીક્ષણ રીપોર્ટ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, સુરત દ્વારા આપવામાં આવેલ હતો. જેમાં 25 જાન્યુઆરીના રીપોર્ટ મુજબ આ બ્રીજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો, ટ્રેઇલર્સ, ટેન્કરો જેવા વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાઇવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ અને સ્ટ્રેન્થનીંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મીની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવવામાં આવ્યું હતું. જેને પરિણામે બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવર-જવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથે ધરી છે. જેમાં આ બ્રિજ ઉપર જરૂરી દિશાસુચક સાઈન બોર્ડ લગાવી કામગીરી કરવામાં આવશે તેવું ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

શું તંત્ર નુકસાન કે અકસ્માત થવાનો રાહ જુએ છે?: આ અંગે બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા જાણવામાં આવ્યું છે કે, "રાજકોટ જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ફ અને બ) અન્વયે મળેલ સત્તાની રૂએ ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પુર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તામાં મોજ નદી ઉપર આવેલ બ્રિજ પર ભારે વાહનોના આવન-જવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે." ઉલ્લેખનિય છે કે, અહિયાં ઉપલેટા પોલીસ તંત્રની પોલીસ ચોંકી સામે જ ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે અને અધિકારીઓ એક બીજાને ખો આપીને મીડિયાને જવાબ આપવાનું કે મીડિયા શમક્ષ બોલવાનું ટાળી રહ્યા છે ત્યારે કલેકટરના હુકમનું પાલન કરાવવા અધિકારીઓ તસ્દી લે છે કે પછી મોટા અકસ્માત અને જાનમાલનું નુકસાન થવાની રાહ જોવે છે તેવા સવાલો તંત્ર પર થઈ રહ્યા છે.