અમરેલીઃ અમરેલી પંથકના ઘણા એવા ખેડૂતો છે જેઓ પરંપરાગત ખેતી છોડીને નવતર પાકોની ખેતી કરવામાં સફળ થયા છે. તેમાંથી જ એક છે પંકજભાઈ લુણાગરીયા જેમણે પોતાના ખેતરમાં ઔષધિય પાક ગણાતા તકમરીયાની ખેતી કરી છે.
નવતર ખેતીઃ આખા સૌરાષ્ટ્રમાં સહિત ગુજરાતમાં ક્યાંય ઔષધિય પાક ગણાતા તકમરીયાની ખેતી થતી હોય તેવું જણાયું નથી, પરંતુ અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે તકમરીયાની સફળ ખેતી કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને નવતર ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે.
તકમરીયાની ખેતીઃ અમરેલી જિલ્લાના લાપાળીયા ગામે રહેતા આ પ્રગતિશીલ ખેડૂતનું નામ પંકજભાઈ લુણાગરીયા છે. તેમણે પોતાના ખેતરમાં ઔષધિય પાક ગણાતા તકમરીયાની ખેતી કરી છે. સામાન્ય રીતે તકમરીયાની ખેતીનું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે. પકંજભાઈએ 1 વીઘામાં માત્ર 350 ગ્રામ જેવું તકમરીયાનું બિયારણ વપરાયુ હોવાનું જણાવ્યું છે, અને સાડા 4 વીઘાની તકમરીયાની ખેતીમાં માત્ર 600 થી 700 રૂપિયાના બિયારણમાં થઈ ગઈ છે. બીજો એક ફાયદો એ કે તકમરીયાની ખેતીને કોઈ ભૂંડ કે નીલગાય ખાતા નથી જેથી તકમરીયાના પાકને નુકસાન પહોંચતું નથી અને ખેતીમાં ફાયદો જ રહે છે. પંકજભાઈ આ અગાઉ તકમરીયાની ખેતી કરેલી હોવાથી 500 રૂપિયા કિલો લેખે ઘર આંગણે વેચાણ કર્યુ હોવાથી તેમને 1 વીઘે 10 મણ જેવો ઉતારો મળ્યો અને સારો એવો આર્થીક ફાયદો પણ મેળવ્યો છે.

4 લાખની કમાણી થવાનો અંદાજઃ પંકજભાઈના જણાવ્યા અનુસાર તકમરીયાના પાકની આજદિન સુધી ક્યારેય કોઈ માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજી થઈ હોઈ તેવું જોવા મળ્યું નથી. જેથી તેનું વેચાણ છૂટક જ કરવું પડે છે. તકમરીયાનો ભાવ કિલોના 500 રૂપિયા લેખે 1 મણના 10 હજાર મળી રહ્યાં છે, જ્યારે 1 વીઘે 10 મણ જેવો ઉતારો આવે છે અને 40 મણ ઉપર તકમરીયાનો ઉતારો આવશે તેવી પંકજભાઈને આશા છે. તેમનું કહેવું છે કે, વાવેતર વખતે નજીવા ખર્ચમાં તકમરિયાની ખેતીમાં થાય છે, પણ પાક વખતે મજૂરી સહિતનો થોડો ખર્ચ બાદ કરતા અંદાજીત 4 લાખની કમાણી થવાનો અંદાજ છે.

લાપાળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ લુણાગરીયા સહિત અમરેલી પંથકના ઘણા એવા ખેડૂતો છે જેઓ પરંપરાગત ખેતી છોડીને નવતર પાકોની ખેતી કરવામાં સફળ થયા છે. કોઈ બાગાયતી તો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરીને ખેતીમાં ઓછા ખર્ચે બમણો ફાયદો મેળવી રહ્યાં છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરક ઉદાહરણ બની રહ્યાં છે.