નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 110 યુનિકોર્ન સાથે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે અને યોગ્ય નિર્ણયો સાથે વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે. અહીં 'સ્ટાર્ટઅપ મહાકુંભ' કાર્યક્રમને સંબોધતા પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હવે માત્ર મેટ્રો શહેરો સુધી મર્યાદિત નથી રહી, તે હવે એક સામાજિક સંસ્કૃતિ બની ગઈ છે.
ભારતની પ્રગતિમાં સ્ટાર્ટઅપ્સની મોટી ભૂમિકા:આ પ્રસંગે મોદીએ વચન આપ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સ્ટાર્ટઅપ્સ મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલે ઈનોવેટિવ આઈડિયાઝ અને એન્ટરપ્રિન્યોર્સ અને એન્ટરપ્રાઈઝને ફંડિંગ સાથે એક મંચ આપ્યો.' લોકોની બદલાતી માનસિકતા પર પ્રકાશ નાંખતા મોદીએ કહ્યું કે ભારતના યુવાનોએ નોકરી શોધનારને બદલે રોજગાર સર્જક બનવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે 45 ટકાથી વધુ ભારતીય સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરે છે.
ભારતે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે, તેથી આ ક્ષેત્રમાં સાધન- સંપન્ન અને વંચિતનો સિદ્ધાંત કામ ન કરી શકે. મોદીએ કહ્યું કે વચગાળાના બજેટમાં રિસર્ચ અને ઈનોવેશન માટે જાહેર કરાયેલ રૂ. 1 લાખ કરોડનું ફંડ ઉભરતા ક્ષેત્રોને મદદ કરશે.