Padma shri award: પદ્મશ્રી મળતા રાજીના રેડ થયાં જગદીશ ત્રિવેદી, વીડિયો દ્વારા વર્ણવી ખુશીની અનુભૂતિ
Published : Jan 26, 2024, 6:34 AM IST
|Updated : Feb 4, 2024, 11:37 AM IST
અમદાવાદ: ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમણે તેમના અનેકવિધ શો દ્વારા પ્રાપ્ત આવકથી કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે. ખુદ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં તેમના મન કી બાત કાર્યક્રમમાં તેમનો ઉલ્લેખ કરીને તેમના સામાજિક કાર્યોની પ્રશંસા કરી હતી. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. જેમાં ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલ, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ, મિથુન ચક્રવર્તી, રામ, ઉષા ઉથુપ સહિત 17ને પદ્મભૂષણ, વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ, ગુજરાતના હાસ્ય કલાકાર કે જેમણે કરોડો રૂપિયા પોતાના શો દ્વારા પ્રાપ્ત કરીને દાનમાં આપ્યા છે એવા જગદીશ ત્રિવેદી સહિત 110ને પદ્મશ્રી અને એક્ટ્રેસ વૈજયંતી માલા, વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ અવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે. ત્યારે પદ્મશ્રી મેળવવા પર જગદીશ ત્રિવેદીએ ભારોભાર ખુશી વ્યક્ત કરી છે અને સૌ કોઈનો આભાર માન્યો છે.