ગુજરાત

gujarat

ETV Bharat / state

"સરકારી ભરતીમાં અમે કેમ બાકાત ?" આ ચાર વિષયના ઉમેદવારોએ કર્યું ઉગ્ર પ્રદર્શન - Govt Teacher Recruitment

ગુજરાત સરકારે તાજેતરમાં 24,700 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ ભરતીમાં કોમ્પ્યુટર, વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોનો સમાવેશ નહી કરવાના કારણે કેટલાક ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 4:53 PM IST

ચાર વિષયના ઉમેદવારોએ કર્યું ઉગ્ર પ્રદર્શન
ચાર વિષયના ઉમેદવારોએ કર્યું ઉગ્ર પ્રદર્શન (ETV Bharat Reporter)

ગાંધીનગર :હાલમાં જ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતમાં ગુજરાત સરકારે કેટલાક વિષયના શિક્ષકોને બાકાત રાખવામાં આવ્યા છે. આ મામલે TET-TAT પાસ ઉમેદવારોએ કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષક સાથે ચિત્ર તેમજ સંગીત શિક્ષકોની ભરતી કરવા માટે આંદોલન શરૂ કર્યું છે. સાથે જ જ્યાં સુધી માંગણીઓમાં હકારાત્મક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી છે.

"સરકારી ભરતીમાં અમે કેમ બાકાત ?" (ETV Bharat Reporter)

ભરતીમાંથી અમે કેમ બાકાત : રજૂઆતકર્તા પાયલ પંડ્યાએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા 24,500 શિક્ષકોની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિષયના પાઠ્યપુસ્તક હશે તે વિષયની ભરતી કરવાનું તેમણે જણાવ્યું હતું. આ ભરતીમાં વ્યાયામ શિક્ષક, સંગીત શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક અને ચિત્રકલા શિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકાર એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને બીજી બાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરતા નથી. કોમ્પ્યુટર શિક્ષણ ન લેવાથી કેટલીક શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળ ખાય છે.

સરકારનો જવાબ ગળે ન ઉતર્યો :પાયલ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, અમે છેલ્લા 12 વર્ષથી સરકારને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે રજૂઆત કરીએ છીએ. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે, મને ખ્યાલ છે કે તમારે મહેકમનો પ્રશ્ન છે. અમે આવતી પરીક્ષામાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીશું. વર્ષ 2014 માં હું પ્રેગનેટ હતી, છતાં પરીક્ષા માટે રજૂઆત કરવા માટે ગઇ હતી. BCA પછી B.Ed.ની મંજૂરી આપવામાં આવી હતી. B.Ed પછી ત્રણ વાર TAT લેવામાં આવી છે. હવે સરકાર કહે છે કે, અમારા શિક્ષકો કોમ્પ્યુટર પણ ભણાવી શકે છે. સરકારનો આ તર્ક વ્યાજબી નથી.

7,500 શિક્ષકોની ભરતી :આંદોલનને સમર્થન આપવા માટે આવેલા તેજસ મજેઠીયાએ જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતીમાં ધોરણ 9 થી 12 માટે 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં PT, ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર આ ચાર વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો. તેથી અમે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો વિષય ગૌણ નથી.

ઉમેદવારોની રજૂઆત :જેવી રીતે વિધાનસભામાં જુદા જુદા વિષયો હોય છે. તેવી રીતે શિક્ષણમાં પણ જુદા જુદા વિષયોના શિક્ષકોની જરૂર પડે છે. આજે બધા જ ઉમેદવારો માંગ લઈને આવ્યા છીએ કે, ધોરણ 9 થી 12 માટે 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેમાં આ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓની ભરતીમાં આ ચાર વિષયનો સમાવેશ કરવામાં આવે તેવી માંગણી સાથે અમે રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે આજે આવ્યા છીએ.

વ્યાયામ શિક્ષકો ભરતી કેમ નહીં ?વ્યાયામ શિક્ષિક ગાયત્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 17 વર્ષથી પ્રાથમિક શિક્ષણમાંથી વ્યાયામ વિષય કાઢી નાખવામાં આવ્યો છે. જ્યારે હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લીધી છે. છતાં પણ આ લોકો મહેકમનું બહાનું કાઢીને વ્યાયામ શિક્ષકોની ભરતી કરતા નથી. જો કે મહેકમમાં ચાર ક્લાસમાં એક વ્યાયામ શિક્ષક હોવાની જોગવાઈ કરવામાં આવી છે.

ભરતી ક્યારે થશે ?સરકાર દ્વારા વ્યાયામ, ચિત્ર, કોમ્પ્યુટર અને સંગીત વગેરે વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા 17 વર્ષથી પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2011, 2012, 2014, 2018 માં પરીક્ષા લીધી હતી. 2018માં તો વ્યાયામ વિષયની એક પણ જગ્યા આપી નથી. સરકારે જણાવ્યું કે વ્યાયામ શિક્ષકોની જગ્યા પર ફાજલ શિક્ષકો લઈ લેવામાં આવ્યા છે.

રજૂઆતકર્તાની સમસ્યા :રજૂઆતકર્તાએ જણાવ્યું કે, અમને રજૂઆત કરવા માટે પણ સચિવાલયમાં જવા દેવામાં આવતા નથી, IB ટીમ અમારી પાછળ લગાડવામાં આવી છે. સરકાર મોટા મોટા હોર્ડિંગ લગાવે છે, મોટી મોટી જાહેરાત કરે છે. પરંતુ આખા જીવન સ્વસ્થ રહેવાના જેમાં પાઠ આપેલા છે તે વ્યાયામ શિક્ષકોની ભરતી કરતા નથી. શરીરનો સર્વાંગી વિકાસ વ્યાયામથી થાય છે. આટલા મહત્વપૂર્ણ વિષયને ગૌણ ગણી લેવામાં આવ્યો છે.

અધૂરો પ્રશ્ન...TET અને TAT પાસ ઉમેદવારોના આંદોલનથી ગભરાયેલી સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. તેથી વ્યાયામ, ચિત્ર, કોમ્પ્યુટર અને સંગીતના શિક્ષકોને પણ સરકારી નોકરીની આશા બંધાણી છે. તેમની રજૂઆતને સરકાર કેટલી ગંભીરતાથી લેશે, તે આગામી સમય જ ખબર પડશે.

  1. શિક્ષકોને આંદોલન ફળ્યું, સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે
  2. ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ પર UPPSC ના કડક પગલા, બદલાઈ પેટર્ન

ABOUT THE AUTHOR

...view details