ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતો તૈયાર રહેજો... રાજ્ય સરકાર દ્વારા આ પાકોની લાભ પાંચમથી થશે ટેકાના ભાવે ખરીદી

રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, સાથે સાથે ખેડૂતોને પ્રતિ.ક્વિન્ટલ રૂ.300નું બોનસ પણ અપાશે.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ભુપેન્દ્રભાઈ પટેલ
ભુપેન્દ્રભાઈ પટેલ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે લાભ પાંચમથી ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. વધુમાં બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ.300નું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લાભ પાંચમથી કરાશે ખરીદી: લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તારીખ 31 ઓકટોબર 2024 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે તારીખ 6 નવેમ્બર 2024થી તારીખ 15 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે.

કયા કયા દસ્તાવેજો નોંધણી પ્રક્રિયામાં જરૂર: નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-A ની નકલ, ગામ નમૂના માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂતમિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા ખેડૂતોને જણાવવામાં આવે છે. દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ. નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો:

  1. જુનાગઢઃ સીતાફળની આવકમાં ધૂમ વધારો, પણ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ ઓછા મળતા નારાજગી
  2. દિવાળીનો તહેવાર નજીક આવતા મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ

ABOUT THE AUTHOR

...view details