ગુજરાત

gujarat

"કચ્છમાં રોગચાળાના કારણે 16 મોત, છતાં ભાજપ સરકાર સભ્યો બનાવવામાં વ્યસ્ત"- વિપક્ષ - Kutch epidemic

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 9:22 AM IST

કચ્છમાં ફેલાયેલા ભેદી તાવને કારણે છેલ્લા છ દિવસમાં 16 મોત થયા છે. આ મોત થયા બાદ તંત્રની આંખ ખુલી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષા રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કચ્છ પહોંચ્યા હતા. બંને મંત્રીઓ કચ્છમાં આરોગ્ય વ્યવસ્થા અને હોસ્પિટલની મુલાકાત લીધી. સાથે જ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

કચ્છમાં રોગચાળાના કારણે 16 મોત
કચ્છમાં રોગચાળાના કારણે 16 મોત (ETV Bharat Gujarat)

ગાંધીનગર : કચ્છમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ભેદી બીમારીથી થયેલા મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. કચ્છમાં ભેદી બીમારીએ લખપત અને અબડાસામાં કહેર મચાવ્યો છે. કચ્છમાં આવેલા ભારે વરસાદને કારણે ભેદી તાવનો રોગ ફેલાયો છે. એક બાજુ રાજ્યમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ અને બીજી બાજુ કચ્છમાં રોગચાળાના કારણે 16 મોત છતાં સરકાર ભાજપના સભ્યો બનાવવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

ભાજપ સરકાર સભ્યો બનાવવામાં વ્યસ્ત"- વિપક્ષ (ETV Bharat Gujarat)
  • કચ્છમાં લોકો મરી રહ્યા છે અને ભાજપ સરકાર સદસ્યતા અભિયાનમાં જોડાઈ છે : અમિત ચાવડા

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કચ્છમાં ફેલાયેલા રોગચાળા અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, એક બાજુ કચ્છમાં જ્યારે રોગચાળાને કારણે લોકો મરી રહ્યા છે અને બીજી બાજુ સરકાર આખી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાઈ છે. ભાજપના વધુ સભ્ય બનાવવામાં સરકાર વ્યસ્ત છે. ભાજપ સરકારને લોકોના મોતની ચિંતા નથી. બીજા રાજ્યોમાં ચૂંટણી જવાબદારી મંત્રીઓની પ્રાથમિકતા બની છે. બીજી તરફ કચ્છમાં લોકો મરી રહ્યા છે, તેની ચિંતા સરકારને નથી.

સરકાર પર આકરા પ્રહાર :સરકારની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ આવી હતી. પૂરને કારણે લોકોની ખૂબ મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું છે. તેવા સંજોગોમાં કચ્છમાં બીમારીઓને કારણે દિન પ્રતિ દિન મૃત્યુનો દર વધતો જાય છે. છેલ્લા ઘણા દિવસોથી ભેદી બીમારીને કારણે 16 લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગની સ્પેશિયલ ટીમ મોકલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી હતી.

આરોગ્ય ટીમ મોકલવાની માંગ : રોગચાળાને કાબુમાં લેવા માટેનું આગોતરું આયોજન પણ સરકારે કર્યું ન હતું. તેથી પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. આરોગ્ય વિભાગે કચ્છમાં તાત્કાલિક આરોગ્ય ટીમ મોકલવી જોઈએ અને દવા તથા સારવારની તમામ વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવી જોઈએ. આગામી દિવસોમાં સરકાર કચ્છમાં ફેલાયેલા રોગચાળાને નાથવા માટે કેવું આયોજન કરે તે જોવું રહ્યું.

  1. "લોકોના રક્ષણની જવાબદારી સરકારની છે" : શક્તિસિંહ ગોહિલ
  2. કલેક્ટર મેદાને ઉતર્યા, લખપત-અબડાસામાં આરોગ્ય ટીમ તૈનાત

ABOUT THE AUTHOR

...view details