જૂનાગઢ :અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશીના સમયગાળાને સનાતન ધર્મમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન અનેક ઉત્સવો પણ આવતા હોય છે. ગુરુપૂર્ણિમા, હિંડોળા, નાગ પાંચમ, જન્માષ્ટમી, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો પણ ચાતુર્માસ દરમિયાન આવતા હોય છે. વ્રત અને તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો આ પર્વ ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે.
ઉત્સવોનો માસ :ચાતુર્માસ દરમિયાન ગુરુપૂર્ણિમા, હિંડોળા દર્શન, નાગ પાંચમ, જન્માષ્ટમી, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા શુભ અને ધાર્મિક તહેવારો આવે છે. સાથે જ શ્રાદ્ધ પર્વ અને નવરાત્રી જેવા તહેવારો પણ ચાતુર્માસના સમયગાળામાં આવતા હોય છે. જેમાં શરદપૂર્ણિમા, દિવાળી અને નૂતન વર્ષની સાથે ભાઈબીજનો પણ સમાવેશ થાય છે. જેના કારણે ચાતુર્માસને તહેવારો અને ઉત્સવોની પરંપરાની સાથે ભક્તિના પર્વ તરીકે પણ હિન્દુ પંચાંગ મુજબ ઉજવવામાં આવે છે.
મોક્ષની સાધના માટે આરાધનાનો શ્રેષ્ઠ સમય, જાણો કેવી રીતે (ETV Bharat Reporter) દેવપોઢી એકાદશી :સનાતન ધર્મ સંસ્કૃતિ અને હિંદુ પંચાંગ અનુસાર એક વર્ષ દરમિયાન કુલ 24 જેટલી એકાદશીઓ આવતી હોય છે. જેમાં ચાતુર્માસ દરમિયાન આવતી 9 એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે, એટલે તેને દેવપોઢી એકાદશી તરીકે હિન્દુ પંચાંગ મુજબ મહત્વ આપવામાં આવ્યું છે.
દેવઉઠી એકાદશી :ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાન પડખું ફેરવે છે, તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી પણ કહેવામાં આવે છે. કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે, તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ તમામ એકાદશીઓ ચાતુર્માસ દરમિયાન આવતી હોવાથી આ સમય દરમિયાન નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે.
ચાતુર્માસની પરંપરા :પ્રાચીન કાળના સમયમાં ઋષિમુનિઓ એક ગામથી બીજે ગામ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે પગપાળા યાત્રા કરતા હતા. પરંતુ વર્ષાઋતુના સમયમાં યાત્રા કરવી ખૂબ કઠિન માનવામાં આવે છે. ત્યારે આ સમય દરમિયાન ઋષિમુનિઓ દ્વારા એક નવી ધાર્મિક વ્યવસ્થા આપવામાં આવી હતી. તે મુજબ અષાઢ માસની એકાદશીથી લઈને કારતક માસની એકાદશી સુધી એક સ્થાન પર બેસીને પ્રભુનું ભજન કરવું, ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણગાન કરવા અને પંચામૃત સ્નાન કરવાનું કહેવાયું છે.
મોક્ષની સાધના માટે આરાધના :પ્રત્યેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ કે ભગવાનની મહાપુજા કરે તો ચાતુર્માસ દરમિયાન તેમને મનવાંછિત ફળ મળતું હોય છે. સનાતન ધર્મના ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરાયો છે તે મુજબ પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 11 મું મન જ્યારે ઇષ્ટદેવ કે પ્રભુને સમર્પિત થાય છે, ત્યારે જ તે ચાતુર્માસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય દ્વારા કોઈ પણ સાધક મોક્ષની સાધના માટે તેમના ઇષ્ટદેવની આરાધના કરતા હોય છે.
- જાણો આજનો શુભ સમય અને રાહુકાલનો સમય - AAJNU PANCHANG
- આજે આ રાશિના લોકોને, અચાનક ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી