ગુજરાત

gujarat

ETV Bharat / state

CM ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે, એક જ દિવસમાં 4 જનસભાઓ ગજવશે - MAHARASHTRA ELECTION 2024

CMનું કેમ્પેઈન સવારે 10:00 વાગ્યે દહિસર વિધાનસભા મતવિસ્તારમાં શરૂ થશે, જ્યાં તેઓ ગુજરાતી વેપારી સમુદાય સાથે "ચાય પે ચર્ચા" સત્રમાં ભાગ લેશે.

CM ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર
CM ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 8:52 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેના તેમના ચૂંટણી પ્રચારના ભાગરૂપે 16 નવેમ્બર શનિવારના રોજ મુંબઈની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ એક જ દિવસમાં ચાર જાહેર સભાઓને સંબોધિત કરવાના છે. આ કેમ્પેઈન સવારે 10:00 વાગ્યે દહિસર વિધાનસભા મતવિસ્તારમાં શરૂ થશે, જ્યાં મુખ્યમંત્રી ગુજરાતી વેપારી સમુદાય સાથે "ચાય પે ચર્ચા" સત્રમાં ભાગ લેશે.

ગુજરાતી સમાજની સભામાં આપશે હાજરી
આ બાદ, તેઓ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યો સાથે મુલાકાત કરશે. આ પછી, તેઓ જોગેશ્વરી પશ્ચિમમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત જાહેર સભામાં હાજરી આપશે, જેમાં મુંબઈમાં 140 થી વધુ ગુજરાતી સમુદાય સંગઠનોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

ઉમેદવારોના સમર્થનમાં રેલી-સભા કરશે
આ બાદ સાંજે, મુખ્ય પ્રધાન જોગેશ્વરી પશ્ચિમમાં ઓશિવારા મેટ્રો સ્ટેશન નજીક, મહાડા ગ્રાઉન્ડ ખાતે વર્સોવા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારના સમર્થનમાં એક રેલીને સંબોધશે. ત્યારબાદ તેઓ અંધેરી વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારના સમર્થનમાં બીજી રેલીને સંબોધિત કરવા અંધેરીના મરોલમાં રામ મંદિર જશે. છેલ્લી ઈવેન્ટ ઘાટકોપર પૂર્વમાં પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે ઘાટકોપર પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા હશે. આ ચાર જાહેર સભાઓ પૂરી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે ગાંધીનગર પરત ફરશે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થવાનું છે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે. વિપક્ષી MVAમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SCP)નો સમાવેશ થાય છે. જ્યારે શાસક મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

  1. પાટણમાં પ્રથમ પાટીદાર સમૂહલગ્નનું આયોજન, તમામ 61 નવદંપતીઓ માટે 15-15 લાખનો વીમો લેવાયો
  2. પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, 8 ઇરાની નાગરિકોની પણ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details