કાલુપુર રેલવે સ્ટેશનનું તબક્કાવાર રીડેવલપમેન્ટ અમદાવાદ :ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ : ગુજરાતના સૌથી વિશાળ રેલવે સ્ટેશનનું ડિમોલીશન કરી રિડેવલપમેન્ટ કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનને મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે.
36 મહિનામાં કામગીરી થશે પૂર્ણ : રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઇન્ટ જનરલ મેનેજર અર્પણ અવસ્થીએ સ્ટેશન રિડેવલપમેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થશે. જેનો પ્લાન પણ નક્કી કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈને બે મહિનાથી સર્વે અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
એલિવેટેડ રોડ નેટવર્ક : અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન તોડી પાડ્યા બાદ નવું બનાવવામાં આવશે. જમીનથી 10 મીટર ઉપર કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો એક એલિવેટેડ રોડ નેટવર્ક બનાવાશે. વર્ષ 2024 અને 2060 ને ધ્યાને રાખીને પ્લાન બનાવ્યો છે. કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે. 16 માળનું બિલ્ડિંગ બનાવાશે.
16 માળનું અદ્યતન બિલ્ડિંગ : આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે. કુલ 16 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેમાં બે બેઝમેન્ટ બનશે. પહેલા છ માળ પર પાર્કીંગ બનશે. તેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસ બનાવવામાં આવશે. જ્યારે તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે યાત્રી સુવિધા માટે હશે. 10 મીટર ઉપર રહેલા કોન કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે.
35 એકરમાં અત્યાધુનિક સુવિધા : કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે. જે આખું 35 એકર જમીનની જગ્યામાં બનવાનું છે. સ્ટેશન બન્યા બાદ પેસેન્જર માટે એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે. જે જમીનથી 10 મીટર લેવલ ઉપર હશે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ સર્વે પ્રિ કન્સ્ટ્રક્શન અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર હાલમાં ટેમ્પરરી બેઝ પર એલિવેટેડ પાર્કિંગ બનાવ્યું છે.
- કેન્દ્ર સરકારે ગુજરાતને આપી અનોખી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ પ્રોજેક્ટ
- હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ટ્રેન, થયા 1700 કરોડના MoU