અમદાવાદ:કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું છેે. તમામ યાત્રીઓ સહિ સલામત નીચે આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ SEOC નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી હતી.
17 જેટલા યાત્રિકો લેન્ડ સ્લાઇડિંગમાં ફસાયા:કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહી સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ જરુરી માર્ગદર્શન આપ્યું:સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના SEOC નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને SEOC ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.
હેલિકોપ્ટર દ્વારા યાત્રિકોને બચાવાયા: ઉત્તરાખંડ સરકારના SEOC દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
યાત્રિકોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો:અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજભાઈ પોતે સૌ યાત્રિકોને ટુંકા સમયમાં સહીસલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના SEOC ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
- અમદાવાદમાં અનરાધાર ભ્રષ્ટાચાર, ACBએ 20 લાખની લાંચ લેતાં AMCના અધિકારીઓની કરી ધરપકડ - ACB arrested two officers of AMC
- ઘરમાં ચા પીવાના બહાને ઘૂસી, યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો - Rape in Surat