નાગપુર: સર રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટના ઇતિહાસના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક છે. ઘણી વખત તેણે પોતાની શાનદાર બોલિંગથી ટીમ ઈન્ડિયા માટે મેચ જીતાડી છે અને રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. ફરી એકવાર જાડેજાએ આવું જ કંઈક કર્યું છે. જાડેજાએ 6 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
સર જાડેજાએ કર્યો કમાલ:
સૌરાષ્ટ્રનો સાવજ રવીન્દ્ર જાડેજા આ મોટી સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર ત્રણ વિકેટ દૂર હતો, તેણે મેચમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ, જેકબ બેથેલ અને આદિલ રશીદને આઉટ કર્યા. આ ત્રણ વિકેટ સાથે તે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ વનડે મેચોમાં સૌથી સફળ બોલર બન્યો. તેણે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના 40 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો.
આ રેકોર્ડ લિસ્ટમાં જાડેજાનું નામ જોડાયું:
આ ઉપરાંત, જાડેજા વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર માત્ર ચોથો ભારતીય સ્પિનર અને પાંચમો ભારતીય બોલર બની ગયો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે 401 મેચોમાં 953 વિકેટ સાથે ભારત માટે તમામ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. આ યાદીમાં બીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન છે, જેમણે તાજેતરમાં જ રમતના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેમણે 287 મેચોમાં 765 વિકેટ લીધી છે, હરભજન સિંહે 365 મેચોમાં 707 વિકેટ લીધી છે અને કપિલ દેવે 356 મેચોમાં 687 વિકેટ લીધી છે.
આ સાથે જાડેજા બીજો ભારતીય બની ગયો છે જેને ત્રણેય ફૉર્મટમાં મળીને 600 વિકેટ અને 6000 રન પૂરા કર્યા હોય. ઈંગ્લેન્ડ સામેની નાગપુર વનડેમાં, સર જાડેજાએ પોતાની બોલિંગથી ધૂમ મચાવી દીધી હતી અને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ક્રીઝ પર ટકી રહેવાની કોઈ તક આપી ન હતી. બોલિંગમાં ભેળસેળ કરીને, સર જાડેજાએ ઈંગ્લેન્ડના બેટિંગ ક્રમને તોડી પાડ્યો.
આ રેકોર્ડ બનાવનાર પહેલો ભારતીય:
જાડેજાએ દિગ્ગજ ખેલાડી કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6000 રન થઈ ગયા છે. યઅને 600 વિકેટ પણ નોંધાઈ ગઈ છે. તે આવું કરનાર પ્રથમ ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર બન્યો છે. ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમતી વખતે તેણે આ આંકડો હાંસલ કર્યો છે. તેમની સિદ્ધિઓને કોઈપણ રીતે ઓછી આંકી શકાય નહીં.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય બોલરો દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટો:
- અનિલ કુંબલે: 401 મેચમાં 953 વિકેટ
- રવિ અશ્વિન: 287 મેચમાં 765 વિકેટ
- હરભજન સિંહ: 365 મેચમાં 707 વિકેટ
- કપિલ દેવ: 356 મેચમાં 687 વિકેટ
- રવિન્દ્ર જાડેજા: 325 મેચમાં 600 વિકેટ
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ વનડેમાં સૌથી વધુ વિકેટ:
- રવિન્દ્ર જાડેજા - 42 વિકેટ
- જેમ્સ એન્ડરસન - 40 વિકેટ
- એન્ડ્રુ ફ્લિન્ટોફ - 37 વિકેટ
- હરભજન સિંહ - 36 વિકેટ
- જવાગલ શ્રીનાથ/આર. અશ્વિન - 35 વિકેટ
આ પણ વાંચો:
- વિજયી પ્રારંભ… પ્રથમ વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી, આ ખેલાડીઓનું દમદાર પ્રદર્શન
- આઉટ કે નોટ આઉટ… મહાન ક્રિકેટર સચિન તેંડુકલર અને ગ્લેન મેકગ્રાની ફની જાહેરાત