ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 7:16 PM IST

Updated : Apr 17, 2024, 6:55 PM IST

ETV Bharat / politics

છોટાઉદેપુર લોકસભા બેઠક પર 'રાઠવા રાજ' નો રોચક રાજકીય ઇતિહાસ, મોદીની ગેરંટી અને કોંગ્રેસના વચનો વચ્ચે જામશે 2024 ચૂંટણી જંગ - Lok Sabha Election 2024

વર્ષ 1977 માં અસ્તિત્વમાં આવેલી છોટાઉદેપુર બેઠક ભૌગોલિક અને સામાજિક રીતે રસપ્રદ રહી છે. અહીંયા જ્ઞાતિનું ગણિત જોઈએ તો સતત રાઠવા સમાજના ઉમેદવારની જીત થઈ છે. 2024 લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસે રાઠવા સમાજના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે જાણો છોટાઉદેપુર લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ, મહત્વના સાંસદ અને મતદારો સહિતની સંપૂર્ણ માહિતી ETV Bharat ના પોલિટિકલ અહેવાલમાં...

છોટાઉદેપુર લોકસભા બેઠક પર 'રાઠવા રાજ'
છોટાઉદેપુર લોકસભા બેઠક પર 'રાઠવા રાજ'

છોટાઉદેપુર લોકસભા બેઠકની વિશેષતા
  • છોટાઉદેપુર લોકસભા બેઠક

છોટાઉદેપુર બેઠકનો વિસ્તાર સંખેડાના લાકડાના રમકડા સાથે વિશ્વમાં જાણીતો છે. પાવાગઢ તિર્થસ્થાન પણ છોટાઉદેપુર લોકસભા બેઠકના વિસ્તારમાં આવે છે. છોટાઉદેપુર લોકસભા બેઠક ચાર જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકનું સીમાંકન ધરાવે છે. જેમાં સાત વિધાનસભા બેઠકો પૈકી જેતપુર પાવી, છોટાઉદેપુર, સંખેડા અને નાંદોદ આ ચાર વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે ડભોઇ, પાદરા અને હાલોલ વિધાનસભા બેઠક બિન અનામત બેઠક છે. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં 70 ટકા આદિવાસી મતદારો છે.

  • છોટાઉદેપુર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ

અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત છોટાઉદેપુર લોકસભા બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા ડભોઇ બેઠક તરીકે જાણીતી હતી. બહુમૂલક આદિવાસી વસ્તી અને રાઠવા આદિવાસી સમાજનો અહીં દબદબો રહ્યો છે. આરંભમાં ડભોઇ બેઠક તરીકે અસ્તિત્વમાં આવેલી આ બેઠક બિન-અનામત હતી. લોકસભાની 1967 થી 1971 સુધી મનુભાઈ પટેલ તથા 1971 થી 1977 સુધી પ્રભુદાસ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા.

લોકસભા ચૂંટણીના પરિણામને અસર કરતા પરિબળ
  • છોટાઉદેપુર લોકસભા બેઠકના મહત્વના સાંસદ

સ્વ. અમરસિંહ રાઠવા વર્ષ 1977, 1980 અને 1984 એમ સતત ત્રણ ટર્મ કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા. ત્યારબાદ નારણભાઈ રાઠવા 1989, 1991, 1996 અને 1998 એમ સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસના સાંસદ રહ્યા હતા. વર્ષ 1999 ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવાએ બાજી મારી હતી. પરંતુ 2004 લોકસભા ચૂંટણીમાં નારણભાઈ રાઠવા ફરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. રામસિંહ રાઠવા પણ ત્રણ ટર્મ ભાજપમાંથી ચૂંટાયા છે. અહીં પ્રથમ મહિલા સાંસદ તરીકે ભાજપના ગીતાબેન રાઠવા 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા.

છોટાઉદેપુર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ
  • છોટાઉદેપુર લોકસભા બેઠકના કુલ મતદારો

છોટાઉદેપુર લોકસભા બેઠકમાં કુલ 18,14,194 મતદારો નોંધાયા છે. જેમાં 9,28,081 પુરુષ મતદાર, મહિલા મતદાર 8,86,096 અને 17 અન્ય મતદારનો સમાવેશ થાય છે.

છોટાઉદેપુર લોકસભા બેઠક પર 2024 લોકસભા ચૂંટણીમાં કુલ 44,238 નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 23,180 પુરુષ મતદાર અને મહિલા મતદાર 21,180 છે.

છોટાઉદેપુર લોકસભા બેઠકના મહત્વના સાંસદ
  • પક્ષ કે વિચારસરણી નહીં, આ બેઠક પર 'રાઠવાનું રાજ'

છોટાઉદેપુર લોકસભા બેઠકના વિસ્તારમાં દર 10 પૈકીના 6 મતદારો આદિવાસી સમાજના છે. આ બેઠકમાં સૌથી વધુ મતદારો રાઠવા સમાજના છે, જેના થકી રાઠવા સમાજના ઉમેદવારોને જીતતા આવ્યા છે. એટલે એવું કહેવાય છે કે, છોટાઉદેપુર બેઠક પરથી પક્ષ કે વિચારસરણી કરતાં રાઠવા અટકનો વિજય થતો રહ્યો છે.

આ બેઠકના ચૂંટણી ઇતિહાસની વાત કરીએ તો 1977 થી 2019 સુધીની સળંગ 12 લોકસભા ચૂંટણીમાં ફક્ત રાઠવા સમાજના ઉમેદવાર ચૂંટાયા છે. વર્ષ 1977 થી 1998 સુધીની સળંગ સાત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના અમરસિંહ રાઠવા અને નારણ રાઠવા સતત જીત્યા હતા. વર્ષ 1999, 2009 અને 2014માં ભાજપના રામસિંહ રાઠવા વિજયી બન્યા હતા. તો વર્ષ 2004 માં UPA-1 માં કોંગ્રેસના નારણ રાઠવા વિજયી બન્યા અને મનમોહનસિંહની સરકારમાં મંત્રી બન્યા હતા.

વર્ષ 2014માં ભાજપના રામસિંહ રાઠવા જીત્યા તો 2019માં ભાજપે મહિલા આદિવાસી નેતા ગીતાબેન રાઠવાને ટિકિટ આપી વિજયી બનાવ્યા હતા. ગુજરાત અને દેશની આ એક માત્ર લોકસભા બેઠક છે, જ્યાં એક જ અટક ધરાવતા ઉમેદવાર સતત 12 ચૂંટણી જીતી સાંસદ બન્યા હોય.

છોટાઉદેપુર લોકસભા બેઠકના કુલ મતદારો
  • છોટાઉદેપુર લોકસભા બેઠક પર જ્ઞાતિનું ગણિત

છોટાઉદેપુર લોકસભા બેઠક પર ચાર ST વિધાનસભા બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત છોટાઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી, સંખેડા, જાંબુઘોડા, હાલોલ, ઘોઘંબા અને બોડેલી તાલુકામાં મોટા ભાગના મતદારો રાઠવા જ્ઞાતિ છે. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં રાઠવા, નાયક, વસાવા, તડવી અને ભીલ જાતિના 70 ટકા જેટલા આદિવાસી મતદારો છે, જેમાં 50 ટકા મતદાર રાઠવા સમાજના છે. રાઠવા જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ હોવાને કારણે બંને પક્ષોએ રાઠવા સમાજના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

મોદીની ગેરંટી અને કોંગ્રેસના વચનો વચ્ચે જામશે 2024 ચૂંટણી જંગ
  • 2024 લોકસભા ચૂંટણીના પરિણામને અસર કરતા પરિબળ

આદિવાસી સમાજના પડતર પ્રશ્ન :છોટાઉદેપુર લોકસભા બેઠક પર પ્રભુત્વ જમાવતી રાઠવા જ્ઞાતિના લોકોની ઓળખ સામે પ્રશ્નો ઉભા થયા છે, જે પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. શિડ્યુલ વિસ્તારમાં બંધારણની પાંચમી સૂચિ અને પેસા એક્ટ લાગુ કરવામાં આવતો નથી, જેને લઈને આદિવાસીઓમાં નારાજગી છે. આદિવાસીઓની ખેત જમીનમાં 73(A) ની નોંધ પાડવાની બાકી છે, તે પ્રશ્નનો ઉકેલ આવતો નથી.

મોદીની ગેરંટી અને કોંગ્રેસના વચનો વચ્ચે જામશે 2024 ચૂંટણી જંગ

સ્થાનિક વિકાસનો અભાવ :ઉપરાંત છોટાઉદેપુર, કવાંટ, જેતપુર પાવી નર્મદા નદીના કાંઠા વિસ્તારના હોવા છતાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી. તેને લઈને આદિવાસી લોકોને રોજગારી માટે હિજરત કરવી પડી રહી છે. સ્થાનિક કક્ષાએ રોજગારી નહીં મળતાં શિક્ષિત યુવાન-યુવતીઓને ગુજરાતના બીજા સ્થળ પર રોજગારી અર્થે જવું પડી રહ્યું છે.

  • છોટાઉદેપુર લોકસભા બેઠક હેઠળના વિધાનસભા વિસ્તાર

2022 વિધાનસભા ચૂંટણીનું પરિણામ :

  1. 137 છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવા કુલ 75,129 મત પ્રાપ્ત કરી જીત્યા હતા.
  2. 138 જેતપુર પાવી વિધાનસભા બેઠક પર 86,041 મત સાથે ભાજપના જયંતિભાઈ રાઠવા ચૂંટાયા હતા.
  3. 139 સંખેડા વિધાનસભા બેઠક પર 99,389 મત સાથે ભાજપના અભેસિંહ તડવી ચૂંટાયા હતા.
  4. 148 નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપના દર્શનાબેન દેશમુખ કુલ 70,543 મત પ્રાપ્ત કરી જીત્યા હતા.
  5. 140 ડભોઇ વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેષભાઈ મહેતા 86,846 મત પ્રાપ્ત કરી વિજેતા થયા હતા.
  6. 128 હાલોલ વિધાનસભા બેઠક પર 1,00,753 મત સાથે ભાજપના જયદ્રથસિંહ પરમાર ચૂંટાયા હતા.
  7. 146 પાદરા વિધાનસભા બેઠક પર 66,226 મત સાથે ભાજપના ચૈતન્યસિંહ ઝાલા જીત્યા હતા.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ :

  1. 137 છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મોહનસિંહ રાઠવા કુલ 75,141 મત પ્રાપ્ત કરી જીત્યા હતા.
  2. 138 જેતપુર પાવી વિધાનસભા બેઠક પર 77,701 મત સાથે કોંગ્રેસના સુખરામ રાઠવા ચૂંટાયા હતા.
  3. 139 સંખેડા વિધાનસભા બેઠક પર 90,200 મત સાથે ભાજપના અભેસિંહ તડવી ચૂંટાયા હતા.
  4. 140 ડભોઇ વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેષભાઈ મહેતા 77,945 મત પ્રાપ્ત કરી વિજેતા થયા હતા.
  5. 146 પાદરા વિધાનસભા બેઠક પર 92,998 મત સાથે કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોર જીત્યા હતા.
  6. 148 નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પ્રેમસિંગ વસાવા કુલ 81,849 મત પ્રાપ્ત કરી જીત્યા હતા.
  7. 128 હાલોલ વિધાનસભા બેઠક પર 1,15,457 મત સાથે ભાજપના જયદ્રથસિંહ પરમાર ચૂંટાયા હતા.

વર્ષ 2017 અને 2022 વિધાનસભા ચૂંટણીના પરિણામની સરખામણી કરવામાં આવે તો ભાજપ તમામ બેઠક પરથી કોંગ્રેસનું પ્રભુત્વ સમાપ્ત કરવામાં સફળ રહ્યું છે. ભાજપના ઉમેદવારોએ 2022 વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર, જેતપુર પાવી, પાદરા અને નાંદોદ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોને મોટા માર્જિનથી માત આપી હતી.

  • 2024 લોકસભા ચૂંટણી જંગમાં રાઠવા vs રાઠવા

મૂળ રાઠવા સમાજનું પ્રભુત્વ ધરાવતી પરંપરાગત બેઠક પર 2024 લોકસભા ચૂંટણીમાં પાદરા અને તેની આસપાસના શહેરી વિસ્તાર સાથે વસાવા, તડવી, ભીલ સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. આ બેઠક પર યોજાયેલી કુલ 14 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 10 વખત, તો ભાજપ ચાર વખત વિજયી બન્યો છે.

કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા :2024 લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસે પાવી-જેતપુર વિધાનસભા બેઠકના સળંગ ચાર ટર્મના ધારાસભ્ય સુખરામ રાઠવાને ઉતાર્યા છે. જે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. SSC સુધીનો અભ્યાસ ધરાવતા સુખરામ રાઠવાએ 1975 માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 4 વખત વિધાનસભા જીત્યા અને 3 વખત હાર્યા, જ્યારે વર્ષ 1922 માં વિધાનસભાના વિપક્ષ નેતા પણ રહ્યાં હતાં.

ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા : ભાજપે તેના ત્રણ વખતના સાંસદ રામસિંહ રાઠવા અને વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કાપી રાઠવા સમાજના નવા ચહેરા તરીકે ઉભરી આવનાર જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. જશુભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર તાલુકાના વાસેડી ગામના સરપંચ તરીકે રાજકીય કારર્કિદીનો આરંભ કર્યો હતો. તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ, આદિવાસી વિકાસ નિગમના નિયામક અને બાદમાં ગુજરાત ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ રહ્યા હતા.

  • મોદીની ગેરંટી અને કોંગ્રેસના વચનો વચ્ચે જંગ

આદિવાસી વિકાસનો પ્રશ્ન હંમેશાથી ચૂંટણીમાં સતત ચર્ચામાં રહ્યો છે, સાથે સતત રેતી-ખનીજ ચોરી, પાણીની અછત, આદિજાતિના દાખલાના પ્રશ્નો સાથે રેલ્વેના મુદ્દા હંમેશાથી ચૂંટણી ટાણે લોકમુખે રહે છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે 2024 લોકસભા ચૂંટણીમાં નવા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા છે. 2024માં જ્યારે ભાજપનો રાજકીય નારો 370ને પારનો છે. ત્યારે મોદીની ગેરંટી વિરુદ્ધ આદિવાસી વિકાસના કોંગ્રેસના વચનો વચ્ચે 2024 લોકસભા ચૂંટણી જંગ લડાશે.

  1. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની કરી જાહેરાત
  2. છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા
Last Updated : Apr 17, 2024, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details