સુરત: આજે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે સુરતની મુલાકાતે હતા. રામદાસ આઠવલેએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન અનેક રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આઠવલેએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં અમારી રીપબ્લિક પાર્ટી નરેન્દ્ર મોદી સાથે જ રહેશે. 2024માં મોદી સરકાર 400ને પાર અને કોંગ્રેસના સુપડાં સાફ થશે તવી શક્યતા રામદાસ આઠવલેએ વ્યક્ત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના શીરડી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
રીપબ્લિક પાર્ટીનો કાર્યક્રમઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સુરતમાં રીપબ્લિક પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમણે ઈન્ડિયા ગઠબંધન પર વાકપ્રહાર કર્યા હતા. આઠવલે એ જણાવ્યું કે, રીપબ્લિકન પાર્ટી હંમેશા મોદી સરકાર સાથે રહી છે. લોકસભામાં અમારી પાર્ટીની એક પણ બેઠક ન હોવા છતાં મને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. દેશમાં નરેન્દ્ર મોદીની હવા ચાલી રહી છે. વિરોધી પાર્ટીઓનું 'ઈન્ડિયા' ગઠબંધન મોદીને ગાળો આપી રહ્યું છે પણ તેની કોઈ અસર મોદી પર થવાની નથી. મોદીનું વિરોધી ઈન્ડિયા ગઠબંધન નબળું પડી રહ્યું છે. નીતિશે ઇન્ડિયા છોડ્યું, મમતા પણ પોતાની રીતે ચૂંટણી લડશે અને કેજરીવાલ પણ અલગ ચૂંટણી લડવાના હોય ત્યારે આ ગઠબંધનની હાર નિશ્ચિત છે. તેમણે નરેન્દ્ર મોદી સરકારને 400થી વધુ બેઠક મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપ સરકારના વિકાસકાર્યોઃ રામદાસ આઠવલેએ મોદી સરકારની યોજનાઓ અને વિકાસકાર્યો વર્ણવ્યા હતા. ગેસ સીલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચ્યા, પીએમ જન ધન યોજના અંતર્ગત 51 કરોડ બેન્ક એકાઉન્ટ ખુલ્યા તેમજ 49 જેટલા એરપોર્ટ ડેવલપ કરાયા, સુપ્રીમ કોર્ટમાં પુરાવાના આધારે રામ મંદિરનો ચુકાદો આવ્યો અને આજે રામ મંદિર બની ગયું વગેરે જેવી ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી હતી.