Cyclone Biparjoy: દ્વારકાધીશ મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
દ્વારકા: ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર, દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ દ્વારકાધીશ મંદિર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિર તારીખ 15 જૂન ગુરુવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીશ્રીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના જોકે નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ www.dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા જણાવ્યું છે. કોરોના કાળ દરમ્યાન અને હાલ આ બીજી વાર એવું બનશે કે દ્વારકાધિશનું મંદિર આમ જનતા માંટે મંદિર બંધ રાખવા આવ્યું છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.