વલસાડ: કપરાડા તાલુકાના ખૂટલી ગામે તા. 4 ના રોજ આકાશી વીજળી પડવાની ઘટનામાં મિથુનભાઈનું મોત થયું હતું. તથા તેમના બે બાળકોને પણ ઇજા પહોંચી હતી. પરિવારમાં એક માત્ર મોભી કામ કરનાર મિથુનભાઈના મોત બાદ પરિવાર નિ:સહાય બન્યું હતું. જ્યારે આવા સમયે સરકારી તંત્રએ 4 લાખ રૂપિયાની સહાય મિથુનભાઈના ધર્મપત્ની આશાબેનને કરી હતી.
જ્યારે ગુરુવારના રોજ તાલુકા પંચાયત ટીડીઓ આર.પી.પટેલ, ખૂટલી ગામના માજી સરપંચ ઈશ્વરભાઈ જાદવ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબભાઈ રાઉત સહિતના લોકોની હાજરીમાં પરિવારની મહિલાને 4 લાખ રૂપિયાના ચેકની સહાય કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, કુદરતી આપત્તિના સમયે મોતને ભેટેલા પરિવારને સહાય કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ ફંડ હોય છે. ત્યારે સરકારના નિયમોને આધીન આવા ભોગ બનેલા પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે. જે પૈકી વીજળી પડવાથી મોતને ભેટેલા મિથુનભાઈના પરિવારને આર્થિક સહાય કરવામાં આવી હતી.