વલસાડઃ કોરોના મહામારી દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રથમ કેસ સામે આવ્યા હતો, ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એકપણ કેસ નોંધાયો નથી. આ માટે ઉમરગામ તાલુકાના લોકોએ જાગૃતિ બતાવી ગામડે-ગામડે અને શહેરના મુખ્ય રસ્તાઓને બંધ કરી સરકારને સહયોગ આપ્યો છે, જેથી ઉમરગામના ધારાસભ્ય અને રાજયકક્ષાના પ્રધાન રમણ પાટકરે ઉમરગામની જનતાનો આભાર માની આ જાગૃતિ માટે અભિનંદન આપ્યા છે.
ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરે ઉમરગામની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે નીડર અને ખંતેલી જનતાએ કોરોના વાઇરસના કારણે લગાવેલા લોકડાઉનમાં મહામારીને નાથવા સરકાર દ્વારા કરાયેલા તમામ સૂચનોનું પાલન કરી સહકાર આપ્યો છે. લોકડાઉન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલા તમામ આહવાનમાં લોકોએ ભરપૂર સાથ સહકાર આપ્યો છે. તેમજ વધુમાં કહ્યું કે ઉમરગામની જનતાએ ગામડે-ગામડે અને શહેરના મુખ્ય માર્ગો પર જાગૃતિના બેનર લગાવી બહારના લોકોને પ્રવેશતા અટકાવ્યા છે. જેને કારણે કોરોના મહામારી પણ આ વિસ્તારમાં અટકી છે. રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે વિશેષમાં જણાવ્યું હતું કે ઉમરગામમાં એક યુવાનનો કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો હતો. જે બાદ ઉમરગામની જનતાએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન અને જિલ્લા કલેક્ટર સી આર ખરસાણના આદેશનું પાલન કરી, બીજા અન્ય કેશો વધવા નથી દીધા. આગામી દિવસોમાં ગમે તેટલો ખતરો ઉમરગામ ઉપર આવશે, ત્યારે ઉમરગામની જનતા અમારી સાથે જ રહેશે. આવી દરેક આપત્તિમાં અમારા ઉપર ભરોસો મૂકી સરકારને સાથ સહકાર આપતી રહેશે એવા વિશ્વાસ સાથે પ્રધાને ઉમરગામ તાલુકાની તમામ જનતાને શુભેચ્છા આપી હતી.