- રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા
- પરપ્રાંતિય NFSA રેશનકાર્ડ ધારકો ગુજરાત રાજ્યમાં પણ અન્ન પુરવઠો મેળવી શકશે
- કેટેગરીવાઇઝ 15 હજાર જેટલા લાભાર્થીઓનો ઉમેરો કરવામાં આવ્યો
ઘોડિપાડા: વન અને આદિજાતિ વિકાસ વિભાગનાં રાજ્યકક્ષાનાં પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાનાં ઘોડિપાડા સાંસ્કૃતિક હોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કરાયું હતું.
![આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરે લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-rationcard-distribution-photo-gj10020_20012021185341_2001f_1611149021_266.jpg)
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓના અભિવાદન સમારોહ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગરીબો માટેની અતિ મહત્ત્વની યોજનાની આજથી શરૂઆત થઇ રહી છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સરકારે ગરીબો માટે આ વ્યવસ્થા કરી છે. ગામમાં વ્યવસ્થાપન થકી યોગ્ય લાભાર્થીઓને તેનો લાભ મળે તે પ્રકારનું સુચારું આયોજન સંબંધિત સરપંચો કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ઉમરગામ તાલુકામાં એપ્રિલથી આજદિન સુધીમાં 15 દિવ્યાંગ કુટુંબોના 78 લાભાર્થીઓ, વૃદ્ધ પેન્શન મેળવતા 67 કુટુંબોના 332 લાભાર્થીઓ, વિધવા પેન્શન મેળવા 311 કુટુંબોના 1553 લાભાર્થીઓ, 25 શ્રમયોગીઓના 128 લાભાર્થીઓ અને અન્ય 2542 કુટુંબોના 12717 લાભાર્થીઓ મળી કુલ 2960 કુટુંબોના 14808 લાભાર્થીઓનો કેટેગરીવાઇઝ ઉમેરો કરાયો છે, તેમને પણ આ યોજના હેઠળ રાશન મળી રહેશે.
NFSA રેશનકાર્ડધારકો પણ ગુજરાત અન્ન પુરવઠો મેળવી શકશે
વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ NFSA કાર્ડ વિભાજન બાદ પણ યથાવત રહેશે. દેશનાં અન્ય રાજ્યોનાં પરપ્રાંતિય NFSA રેશનકાર્ડ ધારકો ગુજરાત રાજ્યમાં પણ અન્ન પુરવઠો મેળવી શકશે. વૃદ્ધો, વિધવા, ગરીબો કે સંસ્થા વૃધ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં રહેતા હોય તેમને પણ આ લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીઓએ પોતાને મળવાપાત્ર અનાજ પુરતા પ્રમાણમાં મળે છે કે નહીં તેની તકેદારી રાખે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
![આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરે લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-rationcard-distribution-photo-gj10020_20012021185341_2001f_1611149021_517.jpg)
સરકારે સસ્તા દુકાનેથી અનાજ આપવાની સુચારુ વ્યવસ્થા કરી
રાજ્યનો કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે સસ્તા અનાજની દુકાનેથી અનાજ આપવાની સુચારુ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેતાં અનેક લોકોને બચાવી શક્યા છીએ. વિશ્વના દેશો કરતાં આગળ રહી ભારત દેશે રસીની શોધ કરી છે અને સમગ્ર દેશમાં રસીકરણની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે.