વલસાડ : બેક્ટેરીયા દ્વારા ફેલાતો ટ્યુબર ક્યુલોસીસ એટલે કે ટીબીનો રોગ સદીઓ જૂનો છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ અને સરકારના મોનીટરીંગનાં કારણે ટીબીની ઘાતકતા ઘટી છે. પણ, આ રોગ નિર્મૂળ થયો નથી. આપને જાણીને આઘાત લાગશે કે, આજે પણ જિલ્લામાં ટીબીના વર્ષે સરેરાશ 1600થી 1700 દર્દીઓ નોંધાયા છે. હાલ સરકાર દ્વારા 2025 સુધીમાં આ રોગને નિર્મૂળ કરવાની યોજના છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં 2022 સુધીમાં નિર્મૂળ કરવા જિલ્લા ક્ષય રોગ વિભાગ સતત મોનીટરીંગ કરી ટીબીના દર્દીઓ શોધી તેને સાજા કરવા મચી પડ્યું છે. જેમાં ગત વર્ષે 6000 લોકોની તપાસ કર્યા બાદ 3100 દર્દીઓને શોધી કાઢી તેની સારવાર શરૂ કરાવી છે. જેમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ 868 કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લા ક્ષય રોગ અધિકારી સી. બી. ચોબીસાના જણાવ્યાં મુજબ, કુલ દર્દીઓમાં 90 ટકા સફળતા મળી છે.
વિશ્વમાં સરેરાશ દર દોઢ મિનિટે ટીબીના લીધે એક વ્યક્તિનું મોત થાય છે. શહેરો અને ગામડાઓમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગરીબ હોય કે, તવંગર બાળક હોય કે વૃદ્ધ ગમે તેને તેનો ચેપ લાગુ પડે છે. ગીચ માનવ વસ્તીમાં તેના જંતુઓ વધુ ઝડપી પ્રસરે છે. સરેરાશ 40 ટકા માણસના શરીરમાં ટીબીના જંતુ એકવાર જતા હોય છે. જો કે, સારી રોગ પ્રતિકારક શક્તિ હોય તો ટીબી જલ્દી લાગુ થતો નથી. વલસાડ જિલ્લામાં વાપી-સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં અને વલસાડ જેવા શહેરી વિસ્તારમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે.
![gujarat is not TB free state, 3100 tb patient are registered in 2019 at valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-mrd-tb-spcl-pkg-gj10020_16032020072307_1603f_1584323587_649.jpg)
જિલ્લામાં ટીબીના જંતુઓના પરીક્ષણ માટે વાપી સહિતના તાલુકામા ડેઝીગ્નેટેડ માઈક્રોસ્કોપીક સેન્ટર આવેલા છે. તો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત તમામ ડિસ્પેન્સરી અને રેફરલ, જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ટીબીની દવા વિનામૂલ્યે અપાય છે. તે ઉપરાંત પોષણયુક્ત આહાર માટે ટીબીના દર્દીને સારવાર દરમિયાન 500 રૂપિયા માસિક ભથ્થું પણ આપવામાં આવે છે. દર્દીઓની સારવાર માટે ડોટ્સના ટૂંકા નામે ઓળખાતી ખાસ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ અમલી બનાવાયેલી છે. ટીબીની સારવાર માટે વપરાતી દવાઓ અસર ન કરે તેવા કેસને મલ્ટિ ડ્રગ રેઝીસ્ટન્ટ ટીબી કહેવાય છે.
![gujarat is not TB free state, 3100 tb patient are registered in 2019 at valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-mrd-tb-spcl-pkg-gj10020_16032020072307_1603f_1584323587_541.jpg)
જિલ્લામાં 5 વર્ષથી સતત કેસમાં વધારો થાય છે, પરંતુ 2022 સુધીમાં તેને નિર્મૂળ કરવાનો હોય ટીબીના પહેલા 4000 દર્દીઓએ જેટલા કેસ શોધતા હતા, તેટલા કેસ હવે 6000 લોકોની તપાસ બાદ મળે છે એટલે એ રીતે ટકાવારીમાં ઘટાડો થયો છે. જે આગામી દિવસોમાં વધુ ઘટશે. સામાન્ય જાગૃતિ ટીબીના રોગ સામે મોટું રક્ષણ પૂરું પાડે છે. વહેલું નિદાન ટીબી સામે લડવામાં મહત્વનું સાબિત થાય છે. ત્યારે, ટીબીના રોગ સામે જાગૃતિ એ જ તેનો શ્રેષ્ઠ ઉકેલ છે.
![gujarat is not TB free state, 3100 tb patient are registered in 2019 at valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-mrd-tb-spcl-pkg-gj10020_16032020072307_1603f_1584323587_881.jpg)