જિલ્લાના કપરાડા તાલુકાના નાની પલસાણા અને વારોલી જંગલ આ બે ગામની વચ્ચેથી દમણગંગા નદી પસાર થાય છે. ત્યારે આ નદી પર વર્ષો પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં આ બ્રિજ વરસાદને કારણે ધોવાઈ જતા સ્લેબની ઉપર તળિયા દેખાતા થઇ ગયા છે. જે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ બ્રિજનો ઉપયોગ અનેક ગામના લોકો કરે છે. તો સાથે જ અહીંના નાના બાળકો પણ આ બ્રિજનો ઉપયોગ સ્કૂલે આવવા-જવા માટે કરે છે. આ બ્રિજનો ઉપયોગ અહીં નજીક આવેલા ગામો જેવા કે નાની પલસાણ, તેરી ચીખલી, અસલ કાટી, ઘણવેરી, સુલીયા, ટીટુ માળ, ટુકવાડા અને રોહીયાળ જંગલના લોકો કરે છે. મહત્વની વાત તો એ છે કે, અહીંથી મહારાષ્ટ્ર જવું ખુબ સરળ હોવાથી મોટા ભાગના લોકો મહારાષ્ટ્ર જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરે છે અને તેમણે આ નદી ક્રોસ કરવા માટે આ બ્રિજ ઉપરથી પસાર થવું પડે છે.
સ્થાનિક લોકોની માગ છે કે, આ બ્રિજ પરથી ધોવાઇ ગયેલા કેટલાક સ્લેબને ફરીથી રિપેર કરવામાં આવે. જેથી લોકો આવન-જાવન માટે આ બ્રિજનો ખૂબ જ સરળ રીતે ઉપયોગ કરી શકે. નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન દમણગંગા નદીમાં પુર આવતા અનેકવાર આ બ્રિજ પર નદીનું પાણી ફરી વળે છે. જેના કારણે દર વર્ષે આ બ્રિજની ઉપરનો ભાગ ધોવાઈ જતો હોય છે.