વલસાડના મોટા સુરવાડાના દરિયા કિનારે વલસાડ કૉલેજમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતાં. જેમાં બે છોકરી અને 1 છોકરાનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતાં. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે ત્રણ મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતાં.
જ્યારે પોલીસે મૃતકો પાસેથી વલસાડ કોમર્સ કોલેજના આઈકાર્ડ મળી આવ્યા હતાં. જેમાં મૃતકોમાં નિલ એમ ભટ્ટ, નીલીમા ઓઝા અને રસ્મિતા કે દેશમુખના મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યાં હતાં. જ્યારે હજુ એક વિદ્યાર્થી દિપક માલીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહીતનો કાફલો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોની મુલાકાતે આવી અને તેને સાંત્વના પાઠવી હતી. નોંધનીય છે કે તમામ વિધાર્થીઓ ફરવા માટે દરિયા કિનારે આવ્યાં હોવાનું માનવામાં આવે છે અને અચાનક ભરતી આવી જતા તેઓ દરિયામાં તણાઈ ગયા હોવાનું મનાઇ રહ્યું છે.